દેશ હવે કોરોના પ્રતિબંધો મુક્ત થવાની દિશા તરફ જઈ રહ્યો છે. હરિયાણા સરકારે રાજ્યમાં કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી દીધી છે.
દેશ હવે કોરોના મુક્ત થવાની દિશા તરફ
હરિયાણાએ હટાવ્યાં કોરોનાના તમામ પ્રતિબંધો
કોરોનાના નિયમોના પાલનની લોકોને અપીલ
લોકો હવે પહેલાની જેમ હરી ફરી શકશે
સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવા માટે તથા આર્થિક ગતિવિધિઓને પહેલા જેવી ધમધમતી કરવા માટે હરિયાણા સરકારે રાજ્યમાંથી તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરીને લોકોને મોટી રાહત આપી છે. જોકે સરકારે લોકોને કોવિડના નિયમોનું પાલન કરતા રહેવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં મળેલી કોવિડ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ખટ્ટરે જણાવ્યું કે લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરતા રહેવું જોઈએ. લોકો હવે પહેલાની જેમ કોઈ પણ જાતના પ્રતિબંધો વગર તેમનું રોજબરોજનું કામ કરી શકશે તેમની પર કોરોનાના કોઈ પ્રતિબંધો નહીં રહે.
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર કાબુમાં
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર કાબુમાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારે પણ રાજ્યોને ફરી લેટર લખીને કેટલાક નવા આદેશ આપ્યાં છે. યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે દેશમાં મહામારીના વળતા પાણી દેખાઈ રહ્યાં છે અને તેથી રાજ્યોએ જરુર પડે તો હવે કોરોના પ્રતિબંધો હટાવી શકે છે અથવા તો તેમાં પોતાની જરુરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે છે.
રાજ્યો કોરોના પ્રતિબંધો હટાવી શકે
કેન્દ્ર સરકારે રાજ્યોને લખેલા પત્રમાં એવું પણ જણાવ્યું છે કે જો રાજ્યોને જરુર લાગે તો તેઓ કોરોના પ્રતિબંધો હળવા કરી શકે અથવા પોતાની જરુરિયાત અનુસાર ફેરફાર કરી શકે.
પાંચ પ્રકારની સ્ટ્રેટેજી ચાલુ રાખો
યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે રાજ્યોને લખેલા લેટરમાં જણાવ્યું કે રાજ્યોએ કોરોના કેસનો ગ્રોથ પર દેખરેખ રાખતા રહેવું જોઈએ અને દૈનિક આધારે સંક્રમણના કેસો પર ધ્યાન રાખવું જોઈએ. રાજ્યો પાંચ પ્રકારની સ્ટ્રેટેજી પણ ચાલુ રાખી શકે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટ, વેક્સિનેશન અને કોવિડ અનુરુપ વ્યવહાર.