સાહિત્ય જગતના કલાકારો આજે અમરેલીના શિયાળ બેટની મુલાકાતે પહોંચ્યા હતા. માયાભાઈ આહિર, રાજભા ગઢવી, ભોળાભાઈ આહિર સહિત 10 જેટલા ગાયક અને સાહિત્યકારો શિયાળ બેટ ખાતે હોડીની સફરનો આનંદ માણ્યો હતો. અને રાજભા ગઢવીએ પોતાના સ્વરમાં દુહાની રમજટ પણ બોલાવી હતી. ગુજરાતના સાહિત્ય કલાકારો સાથે રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરિશ ડેર પણ સાથે આવ્યા હતા.
આ કલાકારો પહોંચ્યા હતા શિયાળબેટ
શિયાળબેટની સુંદરતાને માણવા માટે માયાભાઈ આહિર, ભોળાભાઈ આહિર, અનુભાઈ ગઢવી, રાજભા ગઢવી, ભરતદાન ગઢવી સહિત 10 જેટલા કલાકારો આ સફરમાં સાથે હતા.
માયાભાઈ આહિરે ચલાવી હોડી
કલાકારોની ટીમમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે હોડી ચલાવવાનો પણ લ્હાવો લીધો હતો. મધદરિયે કલાકારોના કંઠમાંથી દુહા અને લોકગીતોનો સ્વર પણ રેલાયો હતો.
જાણો શું છે શિયાળબેટની સુંદરતા
ગુજરાત સૌથી વધારે દરિયો વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર ખાતે આવેલું જાફરાબાદનું શિયાળ બેટ એક એવું સ્થળ છે જે તેની દરિયાકાંઠાની સૌંદર્યતા માટે જાણીતું છે. શિયાળ બેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયલું છે. ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં માત્ર દરિયાઇ માર્ગે હોડી કે બોટ થકી જ પહોંચી શકાય છે. ચોતરફ ખારું પાણી હોવા છતાં ત્યાં મીઠા પાણીના કૂવા અને વાવ છે. કહેવાય છે કે, શિયાળ બેટમાં લોકોને ચોરીનો ભય જ નથી. તેથી તેઓ ક્યારેય પણ ઘરને તાળું મારતા નથી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે સમુદ્રની વચ્ચે ટાપુ પર આવેલ શિયાળ બેટ એક જમાનામાં જહોજલાલી ધરાવતી સમૃધ્ધ નગરી હતી. ગુજરાત જેનું ગૌરવ કરે છે તે વનરાજ ચાવડાના વંશ અનંત ચાવડા નામના રાજાએ સિંહલદ્રિપ નામની સમૃદ્ર નગરીનું નિર્માણ કર્યું હતું. જેમાં ઉચ્ચ પ્રકારના બાંધકામ, ગગનચુંબી મંદિરો, વાવો, ધર્મશાળા અને પ્રજાના રક્ષણ માટે કિલ્લા, ચાર દરવાજા, બે ડોકાબારી , મોટા બુગદાઓ સહિતનો કિલ્લો બાંધીને આધુનિક સવલતો ઉભી કરી હતી.
કાળની થપાટ અને સમય પરિવર્તન સાથે એક જમાનાની આ સમૃદ્ર નગરીની આજે શિયાળબેટ તરીકે ઓળખાય છે. શિયાળબેટમાં ગંગાવાવ નામનું પ્રાચીન તળાવ છે. ચેલૈયાનો ખાંડણિયો, ગોરખનાથની મૂર્તિ- આશ્રમ, ગણપતિ તથા હનુમાનજી અને જૈન ધર્મના નેમિનાથ અને પાર્શ્ર્વનાથની અમૂલ્ય મૂર્તિઓ પણ છે. તદઉપરાંત અબુપીર અને સવાઈદુલા નામના મૂસ્લિમ ઓલિયાની કબરો અને ભેંસલાપીર આવેલા છે.