બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં 'CIDSCON 2026' નો ભવ્ય પ્રારંભ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 16મી વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન
Last Updated: 07:18 PM, 22 August 2026
વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી-CIDS દ્વારા આયોજિત 16મી વાર્ષિક પરિષદ ‘Clinical Infectious Diseases Society Conference-CIDSCON 2026’ નું ઉદ્ઘાટન આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદની મુખ્ય થીમ “Addressing AMR: From Awareness to Action રાખવામાં આવી છે.
ADVERTISEMENT
તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાથી બીમારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' કાર્યક્રમનો સંદર્ભ આપતા મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાની ટેવના કારણે ન્યુમોનિયા અને યુરીનરી ઇન્ફેક્શન જેવા સામાન્ય રોગોમાં પણ એન્ટીબાયોટીક્સ દવાઓની અસર મનુષ્યના શરીરમાં ઘટી રહી છે. દર્દીઓ એન્ટીબાયોટીકનો કોર્સ અધૂરો ન છોડે તે માટે તેમને જાગૃત કરવા ડોક્ટરોને મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ આહ્વાન કર્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામેની લડાઈ એ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ તબીબો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે. હોસ્પિટલોમાં ‘એન્ટીમાઇક્રોબાયલ સ્ટેવાર્ડશિપ’ અને ઇન્ફેક્શન કંટ્રોલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. રાજ્યમાં રોગોના આગોતરા નિયંત્રણ માટે ‘ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક’ અને ‘AMR ડેશબોર્ડ’ જેવા આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા પૂર્વ-ચેતવણી સર્વેલન્સ તથા પ્રયોગશાળા આધારિત મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તંદુરસ્તીની પર ખાસ ભાર
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તંદુરસ્તીની અગત્યતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવા વૈશ્વિક સંક્રમણો અને આધુનિક જીવનશૈલીના તણાવ વચ્ચે માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જરૂરી છે. વર્તમાન સમયમાં ડિપ્રેશન અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓ સામે જાગૃતિ કેળવીને તેનો યોગ્ય સામનો કરવો એ અત્યંત આવશ્યક છે. આરોગ્ય મંત્રીએ એવી આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પરિસંવાદમાંથી પ્રાપ્ત થયેલ નૂતન જ્ઞાન અને આધુનિક સંશોધનોનો ઉપયોગ તબીબો પોતાના કાર્યક્ષેત્રમાં દર્દીઓની વધુ ઉત્કૃષ્ટ અને અસરકારક સારવાર માટે કરશે. અંતમાં, મંત્રીશ્રીએ આવી સફળ અને ઉત્કૃષ્ટ કોન્ફરન્સના સુચારુ આયોજન બદલ સમગ્ર આયોજક ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT
ડૉ. સુબ્રમણ્યન સ્વામીનાથને આપ્યું ઉદાહરણ
આ પ્રસંગે CIDS ના પ્રમુખ ડૉ. સુબ્રમણ્યન સ્વામીનાથને જણાવ્યું હતું કે, આજે ઇન્ફેક્શિયસ ડિસીઝ શા માટે આટલું મહત્વનું છે, તેનું એક ઉદાહરણ એ છે કે તાજેતરમાં જ 11 વર્ષથી એક ગંભીર અને રેઝિસ્ટન્ટ ઇન્ફેક્શનથી પીડાતી દર્દી અમારી પાસે આવી હતી, જે અનેક જગ્યાએ સારવાર કરાવીને થાકી ચૂકી હતી. અમારા ક્લિનિકલ ફાર્માકોલોજિસ્ટે ખાસ દવા તૈયાર કરીને તેમની સારવાર કરી. આ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હસતાં મુખે મળવા આવ્યા, જે દર્શાવે છે કે જ્યારે ડ્રગ રેઝિસ્ટન્સ અને જટિલ બીમારીઓની વાત આવે છે, ત્યારે આપણી વિશેષ કુશળતા સામાન્ય નાગરિકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે. ડૉ. સ્વામીનાથને ઉમેર્યું કે, CIDSની તાકાત આપણા વરિષ્ઠ માર્ગદર્શકો છે, જેમણે છેલ્લા ૨૦ વર્ષોમાં નિઃસ્વાર્થપણે પોતાનો સમય અને માર્ગદર્શન આપીને આ સંસ્થાને આ સ્તરે પહોંચાડી છે. નવી પેઢીના તબીબો ખૂબ ભાગ્યશાળી છે કે તેમને આવા દિગ્ગજોનો સાથ મળ્યો છે. ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે માઇક્રોબાયોલોજી, ફાર્મસી, નર્સિંગ, પબ્લિક હેલ્થ અને એડમિનિસ્ટ્રેશન જેવા તમામ વિભાગોએ સાથે મળીને સહયોગથી કામ કરવું પડશે.
ADVERTISEMENT
ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. અતુલ પટેલે શું કહ્યું?
ઉદ્ઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન આપતાં ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, આજે ચેપી રોગો સતત પરિવર્તિત થઈને તબીબી જગત સમક્ષ ગંભીર પડકારો સર્જી રહ્યા છે. માનવ, પ્રાણી અને પર્યાવરણનું સ્વાસ્થ્ય પરસ્પર જોડાયેલું હોવાથી 'વન હેલ્થ'નો વિચાર અનિવાર્ય બન્યો છે. આ સ્થિતિમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMR હવે કોઈ કાલ્પનિક ખતરો નથી, પરંતુ આપણી રોજિંદી ક્લિનિકલ પ્રેક્ટિસની એક કઠોર વાસ્તવિકતા બની ચૂક્યો છે.આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા ‘Antimicrobial stewardships program’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. સુરભિ મદને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર માન્યો હતો.
ADVERTISEMENT
કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહ્યું?
ADVERTISEMENT
આ પરિષદમાં CIDSના સેક્રેટરી ડૉ. નેહા ગુપ્તા, ટ્રેઝરર ડૉ. કવિથા, સાયન્ટિફિક ચેરપર્સન ડૉ. તનુ સિંઘલ, કો-ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. હર્ષ તોશનીવાલ સહિત અધિકારી-કર્મચારીઓ, ભારત ઉપરાંત અમેરિકા અને સિંગાપોર જેવા દેશોના નામાંકિત ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ્સ, અગ્રણી સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટ્સ અને ફિઝિશિયન્સ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.