બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 400ની દવાનું કામ, 10 રૂપિયામાં કર્યું,સુરેન્દ્રનગરના ખેડૂતે ગૌમૂત્ર-મીઠાથી નિંદામણનો ઉપાય કર્યો!

સુરેન્દ્નનગર / 400ની દવાનું કામ, 10 રૂપિયામાં કર્યું,સુરેન્દ્રનગરના ખેડૂતે ગૌમૂત્ર-મીઠાથી નિંદામણનો ઉપાય કર્યો!

Published By: Vishal Khamar

Last Updated: 01:16 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતરમાં નિંદામણ દૂર કરવા માટે જ્યાં સામાન્ય રીતે પંપ દીઠ આશરે ₹400ની રાસાયણિક દવાનો ખર્ચ થાય છે, ત્યાં તેમણે 15 લિટર ગૌમૂત્રમાં 1 કિલો મીઠું ભેળવી છંટકાવ કર્યો. પાંચ દિવસમાં મોટાભાગનું નિંદામણ સૂકાઈ ગયું.

વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના 34 વર્ષીય ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ ખેતીમાં એક એવો પ્રયોગ કર્યો છે, જેની પાછળ મોટી લેબોરેટરી કે મોંઘી દવા નહીં, પરંતુ તેમની પોતાની કોઠાસૂઝ છે. ખેતરમાં નિંદામણ દૂર કરવા માટે જ્યાં સામાન્ય રીતે પંપ દીઠ આશરે ₹400ની રાસાયણિક દવાનો ખર્ચ થાય છે, ત્યાં તેમણે 15 લિટર ગૌમૂત્રમાં 1 કિલો મીઠું ભેળવી છંટકાવ કર્યો. પાંચ દિવસમાં મોટાભાગનું નિંદામણ સૂકાઈ ગયું. ગૌમૂત્ર ઘરમાંથી જ મળતું હોવાથી આખા પ્રયોગમાં તેમનો ખર્ચ માત્ર મીઠાના આશરે ₹10નો થયો.

પરેશભાઈ માટે આ માત્ર એક પ્રયોગ નથી. છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને પોતાની 13 એકર જમીનમાંથી હાલ 4.5 એકરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે. જેમાં 2 એકરમાં તેમણે ખાસ મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. તેમની કોશિશ હવે માત્ર પોતાની જમીન સુધી મર્યાદિત નથી; તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના પ્રયોગો સમજાવી રહ્યા છે.

નિંદામણનો ઉપાય

ખેતીમાં નિંદામણ ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલીઓમાંથી એક છે. મજૂરો દ્વારા નિંદામણ દૂર કરાવે તો ખર્ચ વધે અને મજૂરોની અછતનો પ્રશ્ન રહે. બીજી તરફ રાસાયણિક નિંદામણનાશક દવાઓનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ બંને વચ્ચે પરેશભાઈએ પોતાના ખેતરમાં અલગ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો. તેમણે 15 લિટરના સ્પ્રે પંપમાં ગૌમૂત્ર અને 1 કિલો મીઠું ભેળવી શેઢા-પાળે ઉગેલા નિંદામણ પર છંટકાવ કર્યો. પાંચ દિવસ બાદ મોટાભાગનું નિંદામણ સૂકાઈ ગયું. તેમના જણાવ્યા પ્રમાણે રાસાયણિક દવા માટે પંપ દીઠ આશરે ₹400નો ખર્ચ થતો હતો, જ્યારે આ પ્રયોગમાં ગૌમૂત્ર ઉપલબ્ધ હોવાથી માત્ર ₹10ના મીઠાનો ખર્ચ થયો.

પરેશભાઈના ખેતરમાં થયેલા આ પ્રયોગની માહિતી મળતાં સુરેન્દ્રનગર 'આત્મા' પ્રોજેક્ટના ડિરેક્ટર ભરત પટેલે પણ ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અન્ય ખેડૂતોને પણ આ પ્રકારના પ્રયોગો અંગે જાણકારી આપવામાં આવી છે.

2016થી પ્રાકૃતિક ખેતી કરે છે પરેશભાઈ

પરેશભાઈના પરિવારમાં શરૂઆતથી જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવાનો અભિગમ રહ્યો હતો. ખેતીની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે ગીર ગાયો રાખી, ટપક સિંચાઈ અપનાવી અને વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું શરૂ કર્યું. 2018-19થી તેમણે જમીનમાં કેમિકલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો. હાલ તેમની કુલ 13 એકર જમીનમાંથી 4.5 એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. તેમાં 2 એકરમાં મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. આગામી 3થી 4 વર્ષમાં પોતાની સમગ્ર 13 એકર જમીનને પ્રાકૃતિક ખેતીમાં ફેરવવાનો તેમનો સંકલ્પ છે.

કપાસની જગ્યાએ 10 ગુંઠામાં ગલગોટા વાવ્યા

પરેશભાઈ ખેતીમાં માત્ર પદ્ધતિ જ નહીં, પરંતુ પાકની પસંદગીમાં પણ પ્રયોગ કરે છે. ચોમાસામાં કપાસ અને તલ સાથે મગ, જ્યારે શિયાળામાં ચણા, જીરું, ધાણા, મેથી, ગલગોટા અને વઢવાણી મરચાંનું ઉત્પાદન કરે છે. કપાસમાં એક વીઘામાં સરેરાશ 30થી 35 મણ ઉત્પાદન સામે તેમણે માત્ર 10 ગુંઠા જમીનમાં ગલગોટાનું વાવેતર કર્યું અને 100 મણથી વધુ ઉત્પાદન મેળવ્યું. સ્થાનિક માર્કેટમાં દરરોજ સવારે તાજા ફૂલો પહોંચાડીને આશરે ₹60 પ્રતિ કિલોના ભાવે વેચાણ કર્યું. આ પાકમાંથી તેમને અંદાજે ₹1થી 1.25 લાખની ચોખ્ખી આવક થઈ.

'રેસિડ્યુ ફ્રી' જીરું, બજાર ભાવ કરતાં બમણા ભાવે વેચાયું

પ્રાકૃતિક ખેતીનો બીજો પ્રયોગ તેમણે જીરામાં કર્યો. દોઢ એકરમાં ગૌમૂત્ર અને છાણ આધારિત પદ્ધતિથી જીરું પકવ્યું. ત્યારબાદ તેનું 'રેસિડ્યુ ફ્રી' ટેસ્ટિંગ કરાવ્યું. સામાન્ય બજારમાં જીરાનો ભાવ આશરે ₹5,000 પ્રતિ મણ હતો. જ્યારે પરેશભાઈના ખેતરનું લેબોરેટરીથી સર્ટિફાઇડ જીરું સુરતમાં ₹8,500 પ્રતિ મણ અને નાસિક, ઔરંગાબાદ તથા પુણેમાં ₹10,000 પ્રતિ મણ સુધીના ભાવે વેચાયું. અહીં પ્રાકૃતિક ખેતીનો સીધો ફાયદો માત્ર જમીન પૂરતો રહ્યો નહીં, પરંતુ પાકના બજારભાવમાં પણ જોવા મળ્યો.

પત્ની પણ આપે છે સાથ

પરેશભાઈ માટે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી કરવાની પદ્ધતિ નથી, પરંતુ જીવનશૈલી છે. ધોરણ 7 સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે મુંબઈ જ્ઞાનપીઠમાં 7 વર્ષ સુધી તપોવન પદ્ધતિથી શિક્ષણ મેળવ્યું. આ દરમિયાન ગૌમાતા, જમીન અને પ્રકૃતિ પ્રત્યેનો તેમનો લગાવ વધુ મજબૂત બન્યો. લગ્ન વખતે પણ તેમણે એવી જ જીવનસાથીની પસંદગી કરી જે ખેતીમાં તેમની સાથે ઊભી રહે. આજે તેમની પત્ની ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈને બીજામૃત અને જીવામૃત તૈયાર કરવા સુધીની કામગીરીમાં તેમની સાથે રહે છે.

ગાય આધારિત ખેતીથી જીવાત નિયંત્રણ સુધીના અનેક પ્રયોગ

પાકમાં રોગ અને જીવાત સામે રક્ષણ માટે પરેશભાઈ ગૌમૂત્ર, દૂધ, ગોળ અને આંકડાના બોળાનો ઉપયોગ કરે છે. જમીનમાં અળસિયા અને હ્યુમસનું પ્રમાણ વધારવા જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરે છે. તેમની આ કામગીરીને કારણે 'આત્મા' પ્રોજેક્ટ તરફથી તેમને બેસ્ટ તાલુકા ફાર્મર એવોર્ડ અને ₹10,000નું ઇનામ મળ્યું છે. મોડેલ ફાર્મ માટે રાજ્ય સરકાર તરફથી ₹13,500ની સહાય ઉપરાંત જીવામૃત બનાવવા માટે જરૂરી સાધનો અને પાકા તળિયાના બાંધકામ માટે પણ સરકારી સહાય મળી છે.

'જમીનને બચાવશો તો જમીન તમને બચાવશે'

પરેશભાઈ કહે છે કે ખેતીમાં માત્ર આજે કેટલું ઉત્પાદન મળે છે તે જોવું પૂરતું નથી. આવતી પેઢી માટે જમીન કેટલી સારી સ્થિતિમાં રહેશે તે પણ એટલું જ મહત્વનું છે.

આ પણ વાંચોઃ વડોદરા ઓટોમેટિક બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષીય માસૂમનું મોત, 15 મિનિટના ફૂટેજ ગાયબ

"જો આપણે જમીનને બચાવીશું, તો જમીન આપણને સામો સપોર્ટ આપશે."

આ વિચાર સાથે તેઓ આજે પોતાના ખેતરમાં પ્રયોગો કરવાની સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. મોંઘી દવાઓ અને વધતા ખેતી ખર્ચ વચ્ચે પોતાની કોઠાસૂઝથી વિકલ્પ શોધી શકાય છે—સુરેન્દ્રનગરના આ યુવા ખેડૂતની સફર તેનો એક નાનો પરંતુ અસરકારક દાખલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Surendranagar Farming Organic Farming

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ