સરકારી નોકરીને લઇને લોકોમાં ધારણાં હોય છે કે તેમની નોકરી સુરક્ષિત છે અને તેમને નોકરીમાંથી ક્યારેય કાઢવામાં આવતા નથી. આ જ કારણ છે કે લોકો ખાનગી નોકરીની જગ્યાએ સરકારી નોકરીને વધારે મહત્વ આપે છે. જો કે હવે એવું નથી.
સરકાર હવે એવા સરકારી કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે જે પોતાની જવાબદારી સાચી રીતે નિભાવતાં નથી. ગત મહિને 27 સરકારી અધિકારીઓને તેમના કાર્યકાળ પૂરો થયા પહેલા નિવૃત્ત કરી દેવામાં આવ્યાં હતા. જેમાં ટેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ તેમજ પ્રિન્સિપલ સેક્રેટરી સ્તરના અધિકારીઓનો સમાવેશ થયો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ પર્સનલ તરફથી હાલમાં જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યો તેમાં દરેક સરકારી વિભાગને જણાવામાં આવ્યું છે કે તેઓ દર મહિને તેમનો રિપોર્ટ તૈયાર કરે. આ રિપોર્ટમાં એ અધિકારીઓની પણ જાણકારી આપવામાં આવે જે નિવૃત્ત થઇ ગયાં છે.
નિર્દેશમાં જણાવામાં આવ્યું છે કે દરેક મંત્રાલય, વિભાગ અને ડીઓપીટીને રિપોર્ટ કરવાનો છે, તેમણે 1 જુલાઇ 2019થી દર મહિને 15 તારીખ સુધીમાં આ રિપોર્ટ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે ડીઓપીટી સીધો પ્રધાનમંત્રી કાર્યાલય રિપોર્ટ કરે છે, તેની સાથે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલ મુદ્દાઓની જાણકારી આપે છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર જે લોકો કામ નથી કરતાં તેને લઇને ઘણી ગંભીર છે. સરકાર પાસે અધિકાર છે કે તેઓ કોઇપણ અધિકારીને સમય પહેલા નિવૃત્ત થવા જણાવી શકે છે. સરકારી નિયમ અનુસાર સરકારને અધિકારી છે કે તેઓ સરકારી કર્મચારીઓના કામની સમીક્ષા કરે. જેના પરથી નક્કી કરવામાં આવી શકે કે અધિકારીની સેવા જોઇએ છીએ કે તેને જનહિતમાં નિવૃત્તિ આપી દેવી જોઇએ.