બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / દહેગામના હાલીસામાં વીજ પોલ તુટ્યો, કરંટથી મહિલાનું મોત, ગ્રામજનોએ UGVCL સામે કાર્યવાહીની કરી માંગ
Last Updated: 08:04 PM, 7 July 2026
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામમાં ચોમાસા દરમિયાન વીજ તંત્રની બેદરકારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હાઈટેન્શન વીજ લાઈનનો જીવતો વાયર તૂટીને માર્ગ પરથી પસાર થઈ રહેલી 23 વર્ષીય પરિણીત મહિલા પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં બે નાનાં બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેના પગલે સમગ્ર ગામમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સામાન્ય વરસાદ વચ્ચે તૂટ્યો જીવતો વીજવાયર
મળતી માહિતી મુજબ, હાલીસા ગામના ભાંગોરે વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક નજીક ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામમાં રહેતા 23 વર્ષીય ભાવનાબેન મેહુલજી મકવાણા ઘરેથી અનાજ દળાવવા માટે ઘંટીએ જઈ રહ્યા હતા.
ADVERTISEMENT

તે સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે સામાન્ય વરસાદ શરૂ થયો હતો. દરમિયાન યુનિયન બેન્ક પાછળ આવેલું એક વિશાળ વૃક્ષ વીજ પોલ પર ધરાશાયી થયું હતું. વૃક્ષના ભારે વજનથી વીજ પોલ તૂટી પડ્યો હતો અને હાઈટેન્શન લાઈનનો જીવતો વાયર સીધો રસ્તા પરથી પસાર થઈ રહેલી ભાવનાબેન પર પડ્યો હતો.
ADVERTISEMENT
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
આ ભયાનક ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં દેખાય છે કે ભાવનાબેન સામાન્ય રીતે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરથી વીજવાયર તૂટી પડ્યો હતો. વાયર પડતાની સાથે જ વીજ તણખા થયા હતા અને જોરદાર કરંટ લાગતાં તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.
ADVERTISEMENT

વીજ પુરવઠો બંધ કર્યા બાદ હોસ્પિટલ ખસેડાયા
ADVERTISEMENT
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગ્રામજનોએ UGVCLના કંટ્રોલ રૂમ અને સ્થાનિક વીજ કર્મચારીઓને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ ગંભીર હાલતમાં ભાવનાબેનને સારવાર માટે નજીકની છાલા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.જોકે તેમની સ્થિતિ નાજુક હોવાથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બે માસૂમ બાળકોએ ગુમાવી માતાની હૂંફ
ADVERTISEMENT
ભાવનાબેનના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની 6 વર્ષની દીકરી હર્ષીબેન અને 3 વર્ષનો પુત્ર દેવરાજસિંહ હવે નાની ઉંમરે જ માતાના સ્નેહથી વંચિત થયા છે. હોસ્પિટલમાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પ્રીમોન્સૂન કામગીરી પર ગ્રામજનોએ ઉઠાવ્યા પ્રશ્નો
આ ઘટનાને પગલે ગ્રામજનોએ UGVCL તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, વીજ પોલ નજીક આવેલું જોખમી વૃક્ષ અને તેની લટકતી ડાળીઓ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જો ચોમાસા પૂર્વે વીજ લાઈનનું નિરીક્ષણ, વૃક્ષોની કાપણી અને જરૂરી જાળવણી કામગીરી કરવામાં આવી હોત તો એક નિર્દોષ મહિલાનો જીવ બચી શક્યો હોત.
જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી અને વળતરની માગ
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઘટના સાંજના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો આ ઘટના શાળા છૂટવાના સમયે બની હોત તો અનેક બાળકો પણ જોખમમાં મુકાઈ શક્યા હોત.
આ પણ વાંચોઃ ગુજરાતને ઘમરોળશે વરસાદ, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી- આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે
હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ગ્રામજનોએ બેદરકારી દાખવનારા વીજ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ મૃતક પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.