બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / કનકાઈ માતાજીનું 18 સ્થંભ ધરાવતું સૌરાષ્ટ્રનું સૌપ્રથમ મંદિર, ભક્તની અનોખી ભક્તિની પૂરી છે સાક્ષી
Last Updated: 06:30 AM, 27 September 2025
ગીરના કોડીનાર ખાતે આવેલા અતિ પ્રાચીન કનકાઈ માતાજીના મંદિરનો ઈતિહાસ 400 વર્ષ જૂનો છે. કોડીનાર શહેરની મધ્યેથી પસાર થતી શીંગવડા નદી કિનારે કાળભૈરવદાદાના મંદિરની નજીક રાજ રાજેશ્વરી મા કનકાઈ સાક્ષાત બિરાજમાન છે. ભગવતી કનકાઈ માતાજી 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, ઝાલા રાજપૂત, કપોળ વણિક અને વૈશ સુથાર જ્ઞાતિના કુળદેવી મા કનકેશ્વરી છે. આરાસુરી મા અંબાનું સ્વરૂપ એટલે જ મા કનકાઈ... કનક એટલે સોનુ અને સુવર્ણ જેવી જેની કાંતિ ધરાવનાર મા શક્તિ એટલે કનકેશ્વરી માતાજી.
ADVERTISEMENT

વર્ષો પહેલાં ગીર જંગલ મધ્યે બિરાજતા ભગવતી મા કનકાઈના મંદિરે દર્શન કરવા એક ભક્ત નિયમિત જતો હતો. રસ્તામાં ચોર-લૂંટારા અને વન્ય પ્રાણીઓના ભયને પરાસ્ત કરી તે માતાજીના દર્શને પગપાળા પહોંચી જતો હતો. આ ભક્તની ઉંમર થતા તેણે મા કનકાઈને પ્રાર્થના કરી કે, મા હવે હું ચાલીને આખું જંગલ કાપીને હવે તારા દર્શને આવી શકું તેમ નથી. તો કૃપા કરી આપજ મારી સાથે કોડીનાર ચાલો. પરમભક્તની આજીજી ભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને કહ્યું...હું તારી સાથે આવવા તૈયાર છું. તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલીશ. રસ્તામાં તારે પાછળ વળીને ક્યાંય જોવાનું નથી. જો પાછળ વળીને જોઈશ તો હું ત્યાંજ રહી જઈશ.
ADVERTISEMENT

માતાજીમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ભક્ત માતાજીની શરત મંજુર રાખી આગળ ચાલવા લાગ્યો... હાલની શીંગવડા અને તત્કાલીન યકુંમતી નદીએ ભક્ત અને માતાજી પહોંચ્યા ત્યારે નદીના પાણીના ખળ-ખળ અવાજમાં માતાજીના ઝાંઝરનો અવાજ ના સંભળાતા ભક્તને શક થયો અને તેનાથી પાછળ જોવાઈ ગયું.. માતાજી નદી પાર કરી કિનારે જ પહોંચ્યા હતા ત્યાં જ મૂર્તિ સ્વરૂપ સ્થિર થઈ ગયા. માતાજી જ્યાં સ્થિર થયા તે આજના કોડીનારની શીંગવડા નદી કિનારે આવેલું કનકાઈ મંદિર.
ADVERTISEMENT

કોડીનાર શીંગવડા નદી તટે જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાજીનું જ અદ્દલ સ્વરૂપ છે. આજથી 250 વર્ષ પહેલાં ઉપાધ્યાય પરિવારે કોડીનારના કનકાઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેનો શિલાલેખ અહીં જોવા મળે છે. ત્યારબાદ 250 વર્ષ પછી વર્તમાન વર્ષમાં કનકાઈ મંદિર જીર્ણોદ્ધાર કમિટી દ્વારા માતાજીનું ભવ્ય મંદિર બનાવી, માતાજીની દિવ્ય પુનઃપ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ADVERTISEMENT

કોડીનાર ખાતે આવેલું કનકાઈ માતાજીનું નૂતન મંદિર 18 સ્થંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે. આ મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થરો વડે નિર્માણ પામ્યું છે. તેની ઊંચાઈ 45 ફૂટ જેટલી છે. મનોરમ્ય પ્રવેશદ્વાર ધરાવતું આ મંદિર પરિસર મન ને શાતા આપનારું છે. કનકાઈ મંદિર કોડીનારના આકાશી દ્રશ્યોનો અદ્દભુત નઝારો ખડો કરે છે. અહીં સવાર અને સાંજ નિયમિત આરતી કરી માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. કનકાઈ માતાજીને મહિષાસુર મર્દીની તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિષાસુરનો નાશ કરવા માટે મા કનકાઈ પ્રગટ થયા હતા.
ADVERTISEMENT
શીંગવડા નદીને શાસ્ત્રોમાં ન્યકુંમતી નદી તરીકે સંબોધવામાં આવી છે. આ નદીનું ઉદગમ સ્થાન ગીર જંગલ મધ્યે આવેલા કનકાઈ મંદિર નજીક જ છે. તો અહીં કોડીનારમાંથી પસાર થતી આજ શીંગવડા નદી કિનારે મા કનકાઈ આવીને રહ્યા છે. માતાજીના મંદિરે નિયમિત મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે અને અન્ય તહેવારોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરી મા ની આરાધના કરવામાં આવે છે.

ADVERTISEMENT
કોડીનાર કનકાઈ મંદિર ખાતે પૂનમને દિવસે અનેક માઈ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મા કનકાઈ સાત ખોટને પુરી કરનારા છે. ભાવથી ભજનાર ભક્તને વરદાન આપનારા માતાજી છે. અહીં સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઈને આવે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો ચૂંદડી અને શણગાર ધરી નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે. કોડીનારના કનકાઈ માતાજીનાં દર્શન માત્રથી ચિત પ્રસન્ન રહે છે. અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં સેકડો ભક્તો મા કનકાઈનાં દર્શને આવે છે.
આ પણ વાંચોઃ કાગવડમાં બિરાજમાન મા ખોડલ, જ્યાં દર્શન માત્રથી ભક્તોને થાય છે અલૌકિક શાંતિનો અનુભવ
રાજ રાજેશ્વરી ભગવતી મા કનકાઈ અનેક દુઃખો દૂર કરનારા, વરદાન આપનારા, આસુરી શક્તિનો નાશ કરનારા અને ભક્તો પ્રત્યે કૃપા વરસાવનારા છે. ચોમાસાનાં ચાર મહિના જંગલમાં જવા પર પ્રતિબંધ હોય છે. ગીર જંગલ મધ્યે આવેલા કનકાઈ માતાજીના મંદિરે જઈ શકાતું નથી. ત્યારે કોડીનાર શીંગવડા નદી તટે બિરાજતા સાક્ષાત મા કનકાઈના દર્શન, સ્તુતિ, આરાધના કરી માઈ ભક્તો ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.