બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:45 AM, 26 September 2025
Khodaldham Kagawad: મા ખોડલના ભક્તોની આસ્થાના પ્રતિક ખોડલધામ મંદિરનો 21 જાન્યુઆરી 2017ના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની છબી સાથેનું એક નાનકડું મંદિર આવેલુ છે. ચારે બાજુ દૂરદૂર સુધી પથરાયેલી હરીયાળી ચાદરો, સુંદર ક્લાત્મક કોતરણીથી શોભતુ ભવ્ય મંદિર, વિશાળ પરિસરની નીરવ શાંતિ અને મંદિરમાં બિરાજમાન મા ખોડલનો સાક્ષાત્કાર ભાવિકોને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.
ADVERTISEMENT

જ્યારે આ સ્થળ ઉપર મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ચમત્કાર જોવા મળ્યો હતો. કાચથી મઢેલા શ્રી ખોડલધામ મંદિરની નાનકડી પ્રતિકૃતિમાં કે જ્યાં હવા પણ પ્રવેશી શકતી નથી ત્યાં નાના નાના પગલાની છાપ જોવા મળી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભકતો તેમનાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. અહીં માત્ર મા ખોડલના પગલાં જ નહીં, મંદિરની પાસેથી કંકુ પણ મળી આવ્યું હતું. ભાવિકોમાં માન્યતા છે કે આ મા ખોડલના બાળ સ્વરૂપના પગલા છે.
ADVERTISEMENT

ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજની આસ્થા અને પ્રભુ તત્વનું પ્રતીક છે. આ મંદિરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ કરવામાં સમસ્ત લેઉવા પટેલ સમાજે તન, મન અને ધનથી માતા ખોડલના ચરણોમાં સેવા કરી છે. મા ખોડીયાર આમ તો ઘણી બધી જ્ઞાતિઓની કુળદેવી છે પરંતુ લેઉવા પટેલ સમાજના આરાધ્ય દેવી કહેવાય છે. દૂરદૂરથી આવતા ભાવિકો માટે મંદિરમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓ ખોડલ મા ના દર્શન કરી સકારાત્મક ઉર્જાનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT

એક કથા પ્રમાણે બોટાદના રોહીશાળા ગામે ચારણકુળમાં મામડિયા અને દેવળબાના ઘરે સાત સંતાનમાંથી છઠ્ઠા સંતાન તરીકે માતાજીએ જન્મ લીધો હતો. મહા સુદઆઠમના દિવસે જન્મેલા મા ખોડલનું નામ જાનબાઇ હતું. એક દંતકથા પ્રમાણે ભાઈ મેરખિયાને બચાવવા માટે ખોડીયારમાં પાતાળમાં અમૃતકુંભ લેવા ઉતર્યા હતા અને પાતાળમાંથી ઉપર આવવામાં મગરે તેની મદદ કરી એટલા માટે મગર તેમનું વાહન છે. જાનબાઈ જ્યારે પાછા ફર્યા ત્યારે તેના પગમાં ઇજા થઇ હતી અને ચાલવામાં થોડી તકલીફ પડતી હતી ત્યારે તેમના માતા દેવળબા બોલી ઉઠ્યા “આ ખોડી તો નથી થઈને.”અને જાનબાઇ પાસે અમૃતકુંભ હોવાથી બધાએ માન્યુ કે આ દેવી અવતાર છે અને ખોડીઆઈ તરીકે માન પામ્યા અને પછી લોકો તેને ખોડિયાર તરીકે પૂજવા લાગ્યા.
ADVERTISEMENT

કહેવાય છે કે માતા ખોડલની કૃપાથી સૌરાષ્ટ્ર વિસ્તારના પટેલો ખેતીકામ કરી શક્યા જેને લઇને પટેલ સમાજના આરાધ્ય દેવી તરીકે પૂજાયા. સૌરાષ્ટ્રમાં મા ખોડલના ચાર મુખ્ય ધામ છે એક ધારી પાસે ગળધરા, બીજું ભાવનગર પાસે રાજપરા. ત્રીજુ મોરબી પાસે માટેલ અને ચોથું કાગવડમાં ખોડલધામ. આ મંદિરનું નિર્માણ શિલ્પશાસ્ત્રની વિશાળ કલા શિલ્પ અને સ્થાપત્ય મુજબ કરવામાં આવ્યું છે. આ મંદિરનો બહારનો ભાગ કલાત્મક શિલ્પ, જગત કણપીઠ, મંડોવર, આંબલસારો, કળશમાં વિભાજીત છે. જેમાં વ્યાલ, અશ્વ, ગજ, નર-નારી, દેવી-દેવતાના આ કલાત્મક બેનમૂન શિલ્પ વર્ષો સુધી સીમાચિહ્નરૂપ બની રહેશે.
ADVERTISEMENT

ખોડલધામ મંદિરમાં 185 કળશ અને 8 તિલકનો સમાવેશ થાય છે. 600 જેટલી મૂર્તિઓ અને 600 ફૂટ પરિઘમાં રામાયણ, મહાભારત અને ગીતાની કથા આકર્ષિત રીતે કંડારવામાં આવી છે. ખોડલ ધામ મંદિરના પગથિયા ઉપર જતા, નૃત્ય મંચમાં પહેલો ઘુમ્મટ આવે છે અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ધુમ્મટના દર્શન થાય છે. ખોડલધામ મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરરરોજ હજારો ભાવિક ભકતો માતાજીના દર્શને આવે છે અને ઘણા દર્શનાર્થીઓ પગપાળા મંદિરે આવી માતાજીના ચરણે શીશ નમાવી ધન્ય થાય છે.
ADVERTISEMENT

રાજસ્થાનના ભરતપુર જીલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે. ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોવરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે. મંદિરમાં કુલ 238 પિલર અને 93 નંગ છત છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન રાજસ્થાનના કારીગરોએ કંડારી છે. ભક્તિ અને એકતાની શક્તિને સાર્થક કરતા ખોડલધામમાં સુંદર, રમણીય પવિત્ર વનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. એકવાર માતાજીના શરણે આવી જે મનોકામના વ્યક્ત કરવામાં આવે તે ચોક્કસ પૂર્ણ થવાની ભાવિકોની અતૂટ શ્રદ્ધા છે.
વધુ વાંચો: બે દિવસ બાદ સૂર્ય બદલશે નક્ષત્ર, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે!
પવિત્ર વનમાં 120થી વધુ શાસ્ત્રોક્ત અને ધાર્મિક વિધિઓમાં વપરાશમાં આવતા વૃક્ષોનું સુંદર આવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. અહીં પવિત્ર વનમાં આવતા શ્રદ્ધાળુના હ્રદયમાં કાયમી સ્થાન પામે અને પવિત્ર વનની શોભામાં અભિવૃધ્ધિ કરતા 680થી પણ વધુ સુશોભનના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. પવિત્રવન આવનારા સમયમાં ધાર્મિક સંઘો તેમજ સત્સંગ મંડળીઓ માટે એક અકલ્પનીય જગ્યા બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.