દેશમાં કોરોનાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે હરિયાણાથી એક એવી ખબર આવી છે જેની ચર્ચા હાલ થઈ રહી છે. આ ઘટનામાં કોરોનાના ડરથી દર્દીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને પરિવારના નામે એક મેસેજ પણ લખ્યો હતો.
હરિયાણાના અંબાલામાં ગુરુવારે એક 55 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર મળ્યાં છે. કૉવિડ 19ના ઈલાજ માટે દાખલ થયેલા દર્દીએ હોસ્પિટલના બાથરૂમમાં ફાંસી લગાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
પોલીસે જણાવ્યું કે સંક્રમિત દર્દી યમુનાગરના જગાધરીમાં સેક્ટર 17નો રહેવાસી હતો. આ શખ્સે કોરોનાના ડરથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ જણાવી રહી છે.
આત્મહત્યા કરનાર વ્યક્તિએ મરતા પહેલા પોતાના પરિવારના નામે એક મેસેજ લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે અંતિમ સંસ્કાર સમયે તેનાથી 10 ફૂટ દૂર રહેજો.
હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દી દ્વારા આત્મહત્યાની સૂચના મળતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.
ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ કોરોનાનો ડર લાગી રહ્યું છે. આવામાં હાલ વધુ તપાસ ચાલુ રહી છે.