આવતી કાલથી ગુજરાત પ્રવાસે આવશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, નરોડા-વૈષ્ણવ દેવી સર્કલ ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
સીએમ અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
નરોડા-વૈષ્ણવ દેવી સર્કલ ખાતે યોજાશે કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તો નવાઇ નહીં કારણ કે આમ આદમી પાર્ટી આ વખતે સક્રિય ભૂમિકામાં જોવા મળી રહી છે. ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી છે. જેને લઇને ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે.
બે દિવસ ગુજરાતની મુલાકાતે અરવિંદ કેજરીવાલ
AAPના નેતા ઇસુદાન ગઢવીની પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું કે આવતી કાલથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. બપોરે 3 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યારબાદ અમારા જે 7500 નવનિયુક્ત પદાધિકારીઓ છે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આવતીકાલે નરોડા ખાતે મેવાડા ગ્રીન પાર્ટીપ્લોટ ખાતે સાંજે 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી શપથ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4 જુલાઇના રોજ વીજળી આંદોલનને લઇને શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર વૈષ્ણવ દેવી સર્કલ પાસે બપોરે 12થી 1 દરમિયાન ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક શ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતીમાં @AAPGujarat દ્વારા નવનિયુક્ત તમામ 6000થી વધુ પદાધિકારીઓના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. - @isudan_gadhvi
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 2, 2022
AAPએ જાહેર કર્યું હતું ગુજરાત સંગઠનનું બીજું લિસ્ટ
થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીએ કુલ 6098 જેટલા પદાધિકારીઓનું બીજું સંગઠન જાહેર કર્યું હતું. જેમાં ધાર્મિક માથુકીયાને AAPની વિદ્યાર્થી પાંખના પ્રમુખ બનાવાયા હતા. જ્યારે ભેમાભાઈ ચૌધરીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા હતા. પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53 કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા સમિતિમાં 1509 કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ તો વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
થોડાંક દિવસો અગાઉ AAPએ પૂરા 800 લોકોનું એક સંગઠન જાહેર કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં. ત્યારે થોડાંક દિવસો અગાઉ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે ગુજરાત AAPના સંગઠનને લઇને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાતના ખજાનચી બનાવાયા હતા. આ સંગઠનની ટીમમાં પૂરા 800 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.