આમ તો દરેક વ્યક્તિ જાણે છે કે વાયુ પ્રદૂષણથી ફેફસાં અને હૃદયને લગતા અનેક ગંભીર બીમારીઓ થાય છે. હવે એક નવા અભ્યાસમાં સંશોધનકારોએ દાવો કર્યો છે કે, વાયુ પ્રદૂષણથી ગર્ભપાત થવાનું જોખમ વધી શકે છે. ક્યારેક તો બાળકનું મૃત્યુ ગર્ભાશયમાં જ થઈ જાય અને ગર્ભવતી માતાને પણ તેની જાણ ન થાય એવી પણ આશંકા રહે છે.
વાયુ પ્રદૂષણથી વધ્યો ગર્ભપાતનો ખતરો
વાયુ પ્રદૂષણથી ફેફસાં અને હૃદયને લગતા અનેક ગંભીર બીમારીઓ થાય છે
બાળકનું ગર્ભમાં જ થઇ શકે છે મોત
આ અગાઉ હાથ ધરવામાં આવેલા બીજા એક અભ્યાસમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વાયુ પ્રદૂષણ અને ગર્ભાવસ્થાની જટિલતા વચ્ચે એક ખાસ સંબંધ છે. નવા અભ્યાસમાં ચીનની યુનિવર્સિટીઓના સંશોધનકારોએ વાયુ પ્રદૂષણને કારણે ગર્ભાવસ્થામાં થતી સમસ્યાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી છે.
નેચર સસ્ટેનેબિલીટીમાં થયો ખુલાસો
આ અભ્યાસના પરિણામો નેચર સસ્ટેનેબિલીટી નામની જર્નલમાં પ્રકાશિત થયા છે. અભ્યાસમાં સંશોધનકારોને જાણવા મળ્યું હતું કે, હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન અને કાર્બન મોનોક્સાઇડની માત્રા વધી ગયું હોય અને જો કોઈ ગર્ભવતી આ દૂષિત હવાના સંપર્કમાં રહે તો ગર્ભપાત થવાનું જોખમ ઘણું વધી જાય છે.
વાયુ પ્રદુષણના કારણે ગર્ભમાં જ બાળકનું થઇ શકે મોત
સંશોધનકારો કહે છે કે, વાયુ પ્રદૂષણ એટલું ખતરનાક છે કે તેના સંપર્કમાં આવવાના કારણે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ જાય છે. આ અભ્યાસ માટે ચીનની ચાર યુનિવર્સિટીના સંશોધકો અને ચાઇનીઝ સાયન્સ એકેડમીએ સાથે મળીને વર્ષ 2009થી લઈને 2017 સુધી અઢી લાખ સગર્ભા મહિલાઓની તપાસ કરી હતી. તેના આધારે સંશોધનકારોએ વાયુ પ્રદૂષણને ખતરનાક જાહેર કર્યું છે.
વાયુ પ્રદૂષણથી બાળકો ચિંતા અને ડિપ્રેશન સંબંધિત બીમારીઓનો થાય છે શિકાર
આ ઉપરાંત એન્વાયર્નમેન્ટલ હેલ્થ પ્રોસ્પેક્ટિવ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, વાયુ પ્રદૂષણથી બાળકો ચિંતા અને ડિપ્રેશન સંબંધિત બીમારીઓનો શિકાર બને છે. અભ્યાસના મુખ્ય લેખક અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના કોલ બ્રોકેમ્પે જણાવ્યું છે કે, સ્લમ એરિયા (ઝૂંપડપટ્ટી)ની આજુબાજુમાં રહેતા બાળકોના સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની વધુ ખરાબ અસર જોવા મળે છે. સંશોધન મુજબ, વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી નવજાત શિશુઓના મગજ અને વિકાસ પર પણ ઘણી માઠી અસર પડે છે.
ઉલ્લેખનીય છે કે, એક અંદાજ મુજબ વાયુ પ્રદૂષણના કારણે દુનિયાભરમાં દર વર્ષે નેવું લાખ લોકો મૃત્યુ પામે છે. જેના કારણોમાં મુખ્યત્વે હૃદયરોગનો હુમલો, મગજના ગંભીર રોગો, ફેફસાંના રોગો અને કેન્સર જવાબદાર હોય છે.