મમતા બેનર્જીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે કોઈ લડી શકતું નથી તો અમે શું કરીએ. અમે ઈચ્છીએ છીએ કે તમામ પાર્ટીઓ લડે. મમતાએ એ પણ કહ્યું કે UPA (United Progressive Alliance) જેવું કંઈ રહ્યું નથી એટલે સવાલ જ ઉઠતો નથી કે યુપીએનો નેતા કોણ હશે? ઉલ્લેખનીય છે કે હાલ યુપીએના નેતા સોનિયા ગાંધી છે.
કોંગ્રેસ પક્ષ સોનિયા ગાંધી અને UPA પર આપેલા નિવેદનને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરી રહ્યું છે. અધીર રંજન ચૌધરથી લઈને દિગ્વિજય સિંહ સુધીના તમામ નેતાઓ મમતા બેનર્જી પર શાબ્દિક હુમલો કરી રહ્યાં છે. ત્યાં સુધી કે કોંગ્રેસ નેતાઓએ તો મમતા બેનર્જીને ભાજપ સાથે મિલીભગતનો આરોપ પણ લગાવી દીધો. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મમતા બેનર્જીએ મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈ આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યારે રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જીએ એવું તો કયું નિવેદન આપ્યું કે અચાનક આટલો મોટો વિવાદ ઊભો થયો.
હવે યુપીએ નથી - મમતા બેનર્જી
મમતા બેનર્જી 2 દિવસ મુંબઈના પ્રવાસે હતા. પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે ગઈ કાલે તેમણે કહ્યું હતું કે ભાજપની વિરુદ્ધ રાષ્ટ્રીય વિકલ્પ ત્યારે જ બની શકે છે જ્યારે પાર્ટીઓ લડવા માટે તૈયાર હોય. વિકલ્પ મજબૂત હોવો જોઈએ. આ એકલા લડી શકાય તેમ નથી. મમતાએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે કોઈ લડી શકે નહીં તો અમે શું કરીએ. તમામ પાર્ટીઓએ સાથે મળીને લડવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે હવે યુપીએ છે નહીં એટલે કોઈ સવાલ નથી કે યુપીએનો નેતા કોન હશે.
શું મમતા બેનર્જી નથી જાણતા કે યુપીએ શું છે?
મમતા બેનર્જી પર પલટવાર કરવાની શરૂઆત કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કરી. અધીર રંજને પૂછ્યું શું મમતા બેનર્જી નથી જાણતા કે યુપીએ શું છે. મને લાગે છે તેમણે ગાંડપણ શરૂ કરી દીધું છે. તેમને એવું લાગે છે કે આખો દેશ હવે મમતા મમતા કરી રહ્યો છે. પરંતુ ભારતનો મતલબ માત્ર બંગાળ નથી, બંગાળ એકલાનો મતલબ ભારત નથી. ચૌધરીએ કહ્યું કે યુપીએ સરકારમાં મમતા બેનર્જીના પાર્ટીના 6 મંત્રીઓ હતા. જે બેનર્જીએ કોઈ કારણ બતાવીને 2012માં સમર્થન પરત લઈ લીધું. તેઓ તે સમયે UPA સરકારને તોડવા માંગતા હતા. પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. આ તેમની જૂની ચાલ છે. હવે તેમણે આ ફરી શરૂ કરી દીધું છે કારણ કે મોદીજી તેમની પાછળ ઊભા છે. આ માટે કોંગ્રેસને નબળી પાડવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું શરદ પવારે કોંગ્રેસ વિરુદ્ધ કંઈ કહ્યું નથી તેઓ વરિષ્ઠ નેતા છે. અમે તેમનો આદર કરીએ છીએ. પરંતુ મમતાની આ જાણી-વિચારીને કરેલી ચાલ છે જે શરદ પવાર અને અન્ય પાર્ટીઓના નેતાઓ ફસાવવા અને એ દેખાડવા કે ભાજપનો એક વિકલ્પ આવી ગયો છે. આ ભાજપને જ ફાયદો પહોંચાડવા માટે છે. ચૌધરીએ આગળ કહ્યું ભાજપ આખા દેશમાં સંઘર્ષ કરી રહ્યું છે. રોજબરોજ પાર્ટીની સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ હવે મમતા બેનર્જીએ ભાજપને ઓક્સિજન આપવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જી ભાજપના ઓક્સિજ સપ્લાયર બની ગયા છે. હવે ભાજપ તેમનાથી ખુશ છે.
કોંગ્રેસ વિના UPA શક્ય નથી
બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે કોંગ્રેસ વિના UPA શક્ય નથી. આ આત્મા વિના શરીર જેવું હશે. આ સમય છે એક થઈને તાકાત દેખાડવાનો.
માત્ર કોંગ્રેસ જ રસ્તા પર આવીને લડી રહી છે
આ બાજુ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ બોલ્યાં કે આજે દેશમાં કોઈ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યું છે તો તે માત્ર કોંગ્રેસ છે. માત્ર રાહુલ ગાંધી છે જે લડી રહ્યાં છે. રાહુલ ગાંધીની વિચારધારા સ્પષ્ટ છે.