નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા એટલે ના છૂટકે ગુજરાતને નવા મુખ્યમંત્રીની જરૂર પડી. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને ગુજરાતમાં સવર્ણ સમાજોને અન્યાય થઈ રહ્યો છે એવો જુવાળ પાટીદાર અનામત આંદોલનથી ઉભો થયો. આના પરિણામે આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું . જોકે એવી પરિસ્થિતી ફરીથી ગુજરાતમાં આવીને ઉભી હોય તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. શું વિજયભાઈના નેતૃત્વને બદલવા આ બિનઅનામત vs અનામતની લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. રૂપાણી સરકારના જ કેબિનેટ મંત્રીઓ ખુલ્લેઆમ આંદોલનકારીઓની પડખે ઉભા છે એ શું સુચવી રહ્યું છે?
લોકરક્ષક દળની સામાન્ય ભરતીમાં રાજ્યના તમામ સમાજો લડત પર ઉતરે ?
CM સાહેબ મિટીંગ બોલાવે તો બધા મંત્રીઓ ગાંધીનગર છોડી જતાં રહે...
ગુજરાતમાં વર્ગ વિગ્રહના એંધાણ હોય તો ય મંત્રીઓમાં કોઈ પણ પ્રકારની પરિપક્વતા દેખાડતાં નથી
એક પરિપત્ર જે જ્યારે લાગુ કરાયો ત્યારે વિવાદ ના થયો ને આજે એના પર આંદોલનો થાય
રાજ્ય સરકાર દર વર્ષે ઢગલાબંધ પોસ્ટની ભરતીઓ કરે છે. એમાંથી નાનકડી એવી પોસ્ટ LRD અર્થાત્ લોકરક્ષક દળની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓનું મેરીટ ઉચું જતાં અને બિનઅનામત વર્ગની મહિલા કેટેગરીનું મેરીટ નીચું રહેતાં લગભગ 40-50 સીટની ભરતી માટે સમગ્ર ગુજરાતના સવર્ણો અને બિનસવર્ણો તમામ વર્ગો રસ્તા પર ઉતરી આવે અને એ પણ ગાંધીનગરમાં અનામત વર્ગની બહેનો 60 દિવસથી ઉપવાસ કરે આ લડત શું સુચવે છે. શું 1/8/2018ના રોજ રાજ્ય સરકારે બહાર પાડેલો પરિપત્ર વિવાદ સર્જી રહ્યો છે કે ભાજપનું આંતરિક રાજકારણ?
મંત્રીઓ રૂપાણી સાહેબ પાસે વિચાર-વિમર્શ કરવાના બદલે આંદોલનકારીઓને સમર્થન કરે
અનામત વર્ગની મહિલાઓ માટે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાથી લઈ ભાજપના દિગ્ગજ ધારસભ્યો અને નેતાઓ ખુલ્લેઆમ રૂપાણી સરકારના વિરોધ પ્રદર્શન કરી બહેનોના સપોર્ટમાં આવી ગયા. આદિવાસીઓને અપાયેલી અનામતમાં અન્ય પહેલાની OBC જ્ઞાતિઓને દશોકો પહેલાં ઉમેરી હતી તેનો વિવાદ અચાનક અત્યારે આવ્યો. સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા ખુલ્લેઆમ રૂપાણી સરકાર વિરૂદ્ધ આ વાતનું સમર્થન પણ કરે અને મીડિયાને બાઈટો પણ આપે.
CMના આદેશ બાદ પણ મંત્રીઓ CM બંગલે દેખાયા જ નહીં
આ બધી ઘટનાઓ તો હજુ ઠીક છે પરંતુ રાજકીય સૂત્રોના કહેવા મુજબ જ્યારે મુખ્યમંત્રી સાહેબ ગુરૂવારે સવારે તેમના બંગલે બધા જ સમાજના મંત્રીઓની બંધ બારણે બેઠક બોલાવે ત્યારે મંત્રીઓ ગાંધીનગર છોડી જતાં રહે અને કાર્યક્રમોમાં હોવાનું બહાનું કાઢી રૂપાણીને મળવા જ તૈયાર નથી. શું આ રૂપાણી સાહેબ પ્રત્યેની નારાજગી છે કે રાજ્યના મુખ્યમંત્રી બદલવા માટેનું અનામતનું ભૂત ધુણાવવાનું ગતકડું છે?
દરેક વખતે સમાધાનો કરાવતાં નીતિનભાઈ આજે CM સાહેબનું નામ રટણ કરી રહ્યા છે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર આંદોલનથી લઈ કોઈ પણ સમાજનો યક્ષ પ્રશ્ન હોય છે ત્યારે આગળ આવી સમતાં અને સરળતાંથી એનું નિરાકણ લાવતાં હોય છે. પાટીદાર આંદોલન હોય કે ખેડૂતોના પ્રશ્નના જવાબો હોય ભુતકાળમાં મીડિયાના માઈક સામે એમણે જ વિસ્તારથી જવાબો આપ્યા છે. જ્યારે ગઈકાલે જે સવર્ણ સમાજો સાથે મિટીંગ થઈ તે બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તમામ વાતોના નિર્ણય મુખ્યમંત્રી સાહેબ કરશે એવું ઢોળી રહ્યા હતા. ચાલો માની લઈએ કે અનામત અને બિન અનામતની લડત ઉગ્ર બની ગઈ છે પણ તમામ નિર્ણયો પર ચર્ચા કરવાથી પણ નીતિનભાઈ ભાગી રહ્યા છે.
ભાજપના આંતરિક ડખાઓ જ મુખ્યમંત્રીનું પદ ખાઈ જશે?
જોકે લાંબા સમયથી દેખાઈ રહેલી રૂપાણી સાહેબની મુખ્યમંત્રીના હોદ્દા પર જે ડેમેજ કંટ્રોલની આવડત હોવી જોઈએ તે અહીં નબળી દેખાઈ રહી છે. ભાજપના નેતાઓના આંતરિક ડખાઓના નિરાકરણ યોગ્ય રીતે ન લાવવાના મુદ્દે તેમના પર મોવડીમંડળની તોળાતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. આ વાતમાં સત્યાર્થતા પુરાવવા કોઈ રાજી નથી પણ રૂપાણી સાહેબના વિશે પુછાતાં પ્રશ્નોમાં ભાજપના દરેક દિગ્ગજ નેતા ગોળગોળ બોલી રહ્યા છે.