તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે ભરાય છે.
સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અનેઆનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. જો તમે પણ તરણેતરના મેળાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો સાથે તરણેતરના મંદિરની મુલાકાત લેવાનું પણ ચૂકશો નહીં.
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે. આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. તેની મજા અલગ જ હોય છે.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કર્યું આ વર્ષે મેળાનું ઉદ્ઘાટન
સુરેન્દ્રનગર જીલ્લાના થાન ખાતે જગ વિખ્યાત તરણેતરનો ભાતીગળ અને લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતા મેળાનો આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2019થી પ્રારંભ થઇ ચૂક્યો છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ મેળાનું ઉદ્ઘાન કર્યું હતું. આ મેળો આગામી તારીખ 04 સપ્ટેમ્બર 2019 સુધી ચાલશે. ત્યારે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મેળો માણવા આવનાર લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી છે.
તરણેતર મંદિર
તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદિરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
આ વર્ષે તરણેતરના મેળામાં રહેશે આ બાબતો ખાસ
વિવિધ સ્પર્ધાનું કરાયું છે આયોજન
થાન તાલુકાના તરણેતર ખાતે યોજાનાર જગ વિખ્યાત ભાતીગળ લોકમેળામાં ગુજરાત સહીત દેશ અને વિદેશમાં થી પણ લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે. ત્યારે ચાર દિવસ ચાલનાર આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ-અલગ દિવસે કરવામાં આવ્યું છે. આ સિવાય પાર્કિંગ, એસ.ટી બસ સહીતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ જિલ્લામાં રોગચાળાની દહેશતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા પણ મેળામાં આવતા દરેક લોકોને ચેક કરી જરૂરી તપાસ અને માસ્ક આપ્યા બાદ જ મેળામાં પ્રવેશ આપવામાં આવશે. આમ તંત્ર દ્વારા તરણેતરના ભાતીગળ મેળાને ધ્યાને લઇ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ
લોકસંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળામાં માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે. ચાલુ વર્ષે યોજાનાર આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે તે માટે પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચનું પણ વેચાણ કોઈ કરી નહિ શકે. પીવાના પાણીની વ્યવસ્થા ચાલુ વર્ષે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને અલગ-અલગ જગ્યાએ સ્વયંસેવકો દ્વારા જ મેળામાં આવતા લોકોને પાણી આપવામાં આવશે.
મેળામાં સુરક્ષા વ્યવસ્થા
આ ઉપરાંત મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મેળા દરમિયાન 3- એસઆરપીની ટીમ, 10-ડીવાયએસપી, 25-પી.આઈ., 85-પી.એસ.આઈ. સહીત કોન્સ્ટેબલ, હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે. તેમજ ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં આવતા લોકો પર નજર રાખવામાં આવશે.
દેશ-વિદેશના પ્રવાસીઓ આવશે ભાતીગળ મેળામાં
સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં તરણેતરનો ભાતીગળ મેળો વિશ્વ વિખ્યાત છે. ત્યારે આવતીકાલથી શરુ થનાર આ મેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં દેશ સહીત વિદેશમાંથી લોકો મેળો માણવા ઉમટી પડશે અને સમગ્ર માહોલ હાલો....ને માનવિયું તરણેતરના મેળે રે .....ના નાદ સાથે ગુંજી ઉઠશે.