શપથવિધિ પહેલા જ AAPમાં ભંગાણ સર્જાયું છે. વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગર ખાતે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે.
શપથવિધિ પહેલા જ AAPમાં ભંગાણ
વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર જોડાશે ભાજપમાં
આજે ગાંધીનગર ખાતે ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં
ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે બપોરે 2 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરશે. આપને જણાવી દઈએ કે, 2 દિવસ અગાઉ જાહેર થયેલા પરિણામમાં વિસાવદરથી AAPના ભૂપત ભાયાણીએ બાજી મારી હતી.
ભૂપત ભાયણી જીત મેળવવામાં સફળ રહ્યા
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો
જોકે, ધારાસભ્ય પદના શપથગ્રહણ થાય તે પહેલા જ તેઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. તેઓ હવે ભાજપમાં વાપસી કરવા જઈ રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરશે. ત્યારે ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં 5 સીટો પર વિજય
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામોમાં AAP ને કુલ પાંચ બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં એક સીટ મળી છે. જોકે, શપથ વિધી પહેલા જ વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે.