મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો અને મંત્રી એકનાથ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક અને મિલિંદ નાર્વેકર તાબતોબ સુરત ખાતે મોકલ્યા છે
નારાજ શિંદેને મનાવવા ઉદ્ધવ સરકારના બે નેતાઓ જશે મનાવવા
ઉદ્ધવ ઠાકરેની સામે એક સાથે બે મોટા પડકારો
MLCના પરિણામો બાદ ઉદ્ધવનો એકનાથ શિંદે સાથે સંપર્ક તૂટ્યો હતો
મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરે નારાજ શિંદે અને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક અને મિલિંદ નાર્વેકર તાબતોબ સુરત ખાતે મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આજ સવારથી શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ એક્ટિવ થયા છે.
ઉદ્ધવ ઠાકરેની સામે એક સાથે બે મોટા પડકારો
શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે આ સમયે બે મોટા પડકારો એકસાથે આવ્યા છે. તેમણે માત્ર પોતાની પાર્ટીને તુટવાથી બચાવવાની નથી, પરંતુ મહારાષ્ટ્રની સરકારને પણ બચાવવાની છે. તેમના વિશ્વાસુ સાથી એકનાથ શિંદેએ બળવો કર્યો છે અને કેટલાક અન્ય ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કર્યા છે અને ટૂંક સમયમાં જ તેમના બંન્ને નેતા એકનાથ શિંદેને મળવા સુરત આવશે
શિંદેને મનાવવા ઉદ્ધવના આ 2 નેતાઓ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર CM ઉદ્ધવ ઠાકરેએ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટકને તેમના નારાજ શિવસૈનિક એકનાથ શિંદે સાથે વાત કરવા અને મનાવવાની જવાબદારી સોંપી છે. રવીન્દ્ર ફાટકને શિંદેના નજીકના માનવામાં આવે છે અને તેઓ પણ શિંદેની કર્મભૂમિ થાણેથી આવે છે. તમને જણાવી દઈએ કે વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવનો એકનાથ શિંદે સાથે સંપર્ક તૂટી ગયો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સિવાય તેમની સાથે આવેલા કોઈપણ ધારાસભ્યનો સંપર્ક થયો નથી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનની બેચેની વધી રહી છે.
ઉદ્ધવની બેઠકમાં માત્ર 15 ધારાસભ્યો જ પહોંચ્યા હતા
કહેવાઈ રહ્યું છે કે, વર્ષા બંગલે આયોજિત ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં શિવસેનાના માત્ર 15 ધારાસભ્યો હાજર છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે બાકીના 40 ધારાસભ્યો ક્યાં છે. મોટી સંખ્યામાં ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની પણ વાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે જેમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે ઉદ્ધવ તેમની પાર્ટી સંભાળશે. પવારના આ નિવેદનને જોઈને સમજી શકાય છે કે મહારાષ્ટ્ર સરકારનું સંકટ કેટલું મોટું છે.
ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો અહેવાલો સામે આવી રહ્યાં છે. જેમાં શિંદેએ જણાવ્યું હતું કે,તેમની પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે એકનાથ શિંદેએ ઓફર આપી છે કે જો ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનની સરકાર બનાવે તો અમે પાર્ટીમાં જ રહીશું. આમ એકનાથ શિંદેએ ઠાકરે સામે પાર્ટીને બચાવવા માટે છેલ્લી ઓફર આપી હોવાની માહિતી મળી રહી છે.