એક બાજુ કોંગ્રેસ કહી રહી છે કે આવનાર વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું જ્યારે બીજી તરફ NCP કહી રહી છે કે ઠાકરે આગામી 25 વર્ષ સુધી સીએમ રહેશે જ.
મહારાષ્ટ્રમાં મોટી માથાકૂટની આશંકા
સંજય રાઉતના ઢાંકપિછોડા : કહ્યું ઠાકરે જ રહેશે સીએમ
કોંગ્રેસે કહ્યું અમે આગામી બધી જ ચૂંટણીઓ એકલા હાથે લડીશું
મહારાષ્ટ્રમાં અત્યારે અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં અઢી અઢી વર્ષના ફોર્મ્યુલા અનુસાર સીએમને બદલી શકાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી પર ખતરા મુદ્દે શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે આ માત્ર અફવા છે કે અઢી વર્ષ બાદ સીએમ બદલી દેવામાં આવશે, ત્રણ પાર્ટીઓએ સરકાર બનાવી છે અને બધા એ કટિવબદ્ધતા સાથે નિર્ણય કર્યો છે કે ઠાકરે પાંચ વર્ષે માટે સીએમ રહેશે. જૉ કોઈ આ વિશે બોલે તો તે અસત્ય છે એન અફવા છે.
એક બાજુ કોંગ્રેસ કહી રહી છે કે આવનાર વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું જ્યારે બીજી તરફ NCP કહી રહી છે કે ઠાકરે આગામી 25 વર્ષ સુધી સીએમ રહેશે જ. બીજી તરફ સંજય રાઉતે એવું નિવેદન આપ્યું છે કે ભાજપના શાસન દરમિયાન તેમની પાર્ટીને સમાપ્ત કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું.
કોંગ્રેસના પ્રદેશ નાના પટોળેએ કહ્યું હતું કે તેમની પાર્ટી હવે એકલી જ ચૂંટણીમાં ઝંપલાવશે. અમરાવતીમાં મોટું નિવેદન આપતા કહ્યું કે હું અધ્યક્ષ છું એટલે પાર્ટીનો વિચાર પણ હું જ મૂકીશ. મને નથી ખબર કે શરદ પવારે શું કહ્યું છે પણ કોંગ્રેસે સાફ કરી દીધું છે કે રાજ્યમાં આગામી બધી જ ચૂંટણીમાં એકલા હાથે જ લડવામાં આવશે.
આ બધા નિવેદનો વચ્ચે NCP પણ સામે આવી છે જેમાં નવાબ મલિકે નિવેદન આપતા કહ્યું કે આવી કોઈ જ વાત નથી અને ઉદ્ધવ જ પાંચ વર્ષ માટે સીએમ રહેવાના છે અને પાંચ જ કેમ આગામી 25 વર્ષ સુધી ઉદ્ધવ જ સીએમ રહેશે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા જ શરદ પવાર અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત થઈ હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે પણ મુલાકાત થઈ અને એટલું જ નહીં તે પછી રાઉતે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું કે તે દેશના સૌથી મોટા નેતા છે અને સાત વર્ષથી જે સફળતા ભાજપને મળી રહી છે તે મોદીના કારણે જ મળી રહી છે. તે બાદ સામનામાં પણ એક લેખ લખવામાં આવ્યો કે જૉ ચૂંટણી જીતવી હોય તો મોદી શાહથી શીખો.