ક્યારેય રસીકરણના કારણે બાળકોના મોત થઈ શકે ખરાં? આ વિષય હમેશા સમયે ચર્ચાતો રહ્યો છે. અનેકવાર રસીકરણ પર શંકાઓ પણ કરવામાં આવે છે. રસીકરણ બાદ બાળકોના મોત થવાના કિસ્સા પણ બનતા રહે છે. પરંતુ તે માટે રસી જ જવાબદાર છે તેવું હજુ સુધી સાબિત થયું નથી. ત્યારે ફરીવાર સુરતમાં કથિત રીતે પોલિયોની રસી મુકાયાના બીજા દિવસે બે બાળકોના મોત થવાની ઘટનાએ રસીની યોગ્યતા અયોગ્યતા પર સવાલો ઊભા કર્યા છે.
સુરતના કામરેજમાં જોડિયા બાળકોના મોત
પોલિયોની રસી મુકાયા બાદ બે બાળકોના મોતથી રસીકરણ પર ઉઠ્યા સવાલ
મૃતક બાળકોના સગાસંબધીઓ બાળકોના મોતનું કારણ જાણવા એફએસએલ તપાસની માંગ
ટીવી સ્ક્રીન પર દેખાતા આ બન્ને નવજાત બાળકોનો જન્મ વધામણીનો આ ફોટો જોઈને કોઈને પણ આનંદની લાગણી થઈ આવશે. આવી જ આનંદની લાગણી આજથી દોઢ માસ પહેલા આ બાળકોના માતા પિતાને થઈ હતી. કેમકે, લગ્નજીવનના 20 વર્ષ બાદ તેમને ત્યાં જોડિયા સંતાનની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ તેમનો એ આનંદ જાણે કુદરતને મંજુર ન હતો. નહિતો જીવન રક્ષક ગણાતી રસી મૂકાયાના બીજા જ દિવસે આ બાળકોની જીવનલીલા કેમ સંકેલાય જાય?
આપણે વાત સુરતના કામરેજની કરી રહ્યા છીએ. આપ તસવીરમાં જોઈ રહ્યા છો તે દોઢ માસના જોડિયા બાળકો હવે આપણી વચ્ચે નથી. કામરેજ પ્રાથમિક આરોગ્ય કેદ્રના રસીકરણ અભિયાન હેઠળ જયરાજ અને જેનિલનામના આ બન્ને બાળકોને રસી મૂકવામાં આવી હતી. આમ તો દોઢ માસના અનેક બાળકોને આ રીતે પેંથાસીન અને પોલિયોની રસી મૂકવામાં આવતી હોય છે. પરંતુ આ બન્ને બાળકોને રસી મુકાયા બાદ તાવ આવ્યો.
જો કે પૂર્વ સૂચના આપી આ તાવ સામાન્ય હોવાનું ડોક્ટરોએ વાલીઓને જણાવ્યું હતુ આથી વાલી નિશ્ચિત હતા. રાત્રે બાળકો તાવની હાલતમાં જ સૂઈ ગયા હતા. પરંતુ સવારે બાળકો ઊંઘમાંથી જાગ્યા જ નહીં, બાળકોને કામરેજમાં ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા પરંતુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. લગ્નજીવનના લાંબાગાળા બાદ પોતાને મળેલા સંતાનો કુદરતે આમ અચાનક છીનવી લીધા તો પરિવાર પર જાણે આભ ફાટી પડયું.
રસીકરણના બીજા જ દિવસે જોડિયા બાળકોના આ રીતે મોત થવાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો તો બીજી તરફ મૃતક બાળકોના સગાં સંબંધીઓ હોસ્પિટલ ઊમટી પડયા હતા. તેઓ આ ઘટના માટે કામરેજ હોસ્પિટલને જવાબદાર ઠેરવી રહ્યા હતા. રસીકરણના બીજા જ દિવસે બાળકોના મોતની ઘટનાને પગલે કામરેજ હોસ્પિટલના ડોક્ટરો મોતનું કારણ શોધવા લાગી ગયા હતા.
હાલ તો કામરેજ આરોગ્ય તંત્ર રસીકરણના કારણે મોત થાય તેવી શક્યતાને નકારી રહ્યું છે. પરંતુ મૃતક બાળકોના પરિજનો બાળકોના મોત માટે રસીકરણ અને ડોકટરોને બેદરકાર ઠેરવી રહ્યા છે. મૃતક બાળકોના સગાસંબધીઓ બાળકોના મોતનું કારણ જાણવા માટે એફએસએલ તપાસની માગણી કરી છે અને જ્યાં સુધી ખરું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી બાળકોના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
રસી બાળકોને નવું જીવનદાન આપતી હોય છે. પરંતુ રસી આપ્યાના બીજા જ દિવસે બબ્બે બાળકોના મોત થતાં રસી અનેક લોકો રસીકરણ સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. માસૂમ બાળકો ના મોત પાછળનું કારણ જે પણ હોઈ પરંતુ લગ્નજીવનના 20 વર્ષ બાદ મળેલા સંતાનો આ રીતે અચાનક છીનવાઈ જતા. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.