શહેરમાં પતિ-પત્નીના ઝઘડા તેમજ મારામારીના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક ઘટના ચાંદખેડા વિસ્તારમાં બની છે. કચ્છના મુંદ્રાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક પત્નીને લગ્ન થયાં ત્યારથી જ કામમાં વાંક કાઢી બપોરથી સાંજ સુધી ગડદાપાટુનો માર મારતા હોવાથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના ચાંદખેડામાં રહેતી પિરણીતાનાં વર્ષ ર૦૦૯માં માંડલ ખાતે રહેતા શિક્ષક ભરત પટેલ સાથે લગ્ન થયાં હતાં. વર્ષ ર૦૧૬માં ભરતભાઇ મુંદ્રા ખાતે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી બંને ત્યાં રહેવા ગયાં હતાં. ત્યારબાદ ભરત પટેલને તાલુકા બદલી આવતાં તેઓ ત્યાં પણ રહેવા ગયા હતા.
આ દરમિયાન ભરતભાઇ કોઇ પણ કામને લઇ પત્નીનો વાંક કાઢી તેની સાથે ઝઘડા કરતા હતા. પરણીતાને ભારતભાઈ બપોરથી સાંજ સુધી માર મારતા હતા. આ દરમિયાન છ દિવસ પહેલાં પરણીતા કંટાળીને ઘરેથી નીકળી ગઈ હતી. તાત્કાલિક તેમને એક દિલ્હીની ટ્રેન મળતાં તે તેમના પુત્રને લઇ દિલ્હી પહોંચી ગયાં હતાં.
જ્યાં કોઇ મુસાફરે તેમને તણાવમાં જોતાં તેમનું કાઉન્સેલિંગ કરી ફરી તેમને સમજાવી ટ્રેનમાં પરત બેસાડી દીધાં હતાં. પરણીતાએ ભચાઉ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પતિને ફોન કર્યો હતો કે તે આવી રીતે ઘરેથી નીકળી ગયાં હતાં.
ભરતભાઇ અમદાવાદ ટ્રેનિંગમાં હોવાથી તેમના મિત્રોને પરણીતાને લેવા મોકલ્યા હતા. ત્યારબાદ પતિથી કંટાળીને પિયર ફોન કરી સમગ્ર બનાવની જાણ કરતાં પિરણીતાએ તેમનાં માતા-પિતા અમદાવાદ લઇ આવ્યાં હતાં અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.