રાજકોટમાં આકર્ષણનું કેન્દ્ર સમા રામવનની પ્રવેશ ફી કરવામાં આવી નક્કી, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ
રામવનની પ્રવેશ ફી કરવામાં આવી નક્કી
3 થી 12 વર્ષ સુધીના બાળકોની 10 રૂપિયા ફી
12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 20 રૂપિયા પ્રવેશ ફી
સૌરાષ્ટ્રનો લોકપ્રિય તહેવાર એવા સાતમ આઠમના સમયે રાજકોટમાં રામવનને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું, રાજકોટમાં આકર્ષણનું કેન્દ્ર સમા રામવનની મુલાકાત ખરેખર લેવા જેવી. ચોમેર હરિયાળી વચ્ચે રામાયણના દ્રશ્યો અહીં આબેહૂબ કંડારવામાં આવ્યા છે. રામવન મનને શાંતિ મળે તે પ્રકારનો સુંદર અનુભવ કરાવતી જગ્યા છે. ત્યારે જો તમે રામવનમાં જવા માંગતા હોવ તો જાણી લો શું છે ટિકિટના દર.
રામવનમાં પ્રવેશ ફી કરાઇ નક્કી
રાજકોટ મનપા દ્વારા રામવનની મુલાકાત માટે પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. જેમાં 3થી 12 વર્ષ સુધીના બાળકોની 10 રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવી છે. જ્યારે 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 20 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. 3 વર્ષ કે તેથી નાના બાળકોના પ્રવેશ માટે કોઇ ફી નહી લેવાય. સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ અપાશે. જ્યારે દર સોમવારે રામવન બંધ રાખવામાં આવશે.
રામ વનમાં શું છે ખાસ ?
રામવનની વિશેષતાની વાત કરીએ તો અહીં તીર આકારનો વિશાળ મુખ્ય ગેટ બનાવાયો છે. આ ઉપરાંત રામાયણના પ્રસંગો જેવા કે વનવાસ, ચાખડી, સંજીવની પહાડ, રામ રાજયાભિષેક સહિતના સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની જીવંત લાગે તેવી મોટી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જુદા જુદા પ્રકારના સ્કલ્પચર સાથે પાથ-વે અને લાકડાના પુલ પણ બન્યા છે.
કુદરતની નજીક હોવાનો થશે અનુભવ
કુલ 1.92 લાખ ચો.મી. જગ્યામાં 3.4 કિલોમીટરના વિશાળ રસ્તા બનાવાયા છે. 2450 મીટરની કમ્પાઉન્ડ વોલ અંદર બે મોટા તળાવ છે. કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રામસેતુ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશિવન, સોલાર લાઇટ વગેરે સાથે પિકનિક પોઇન્ટ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ કરાવતી આ વિશેષ જગ્યા છે.
રામવનમાં આકર્ષણનું કેન્દ્ર શું ?
47 એકરમાં રામવનનું નિર્માણ થયુ છે.
13.77 કરોડના ખર્ચે રામવનનું નિર્માણ કરવામાં આવ્યું
ભગવાન રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિઓ રૂ.1.61 કરોડના ખર્ચે
80 હજાર પ્રજાતિના વિવિધ વૃક્ષો
25 જેટલા બ્લોકમાં કરાયુ છે પ્લાન્ટેશન
2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન
30 ફૂટની ભગવાન શ્રીરામની પ્રતિમા
ભગવાન શ્રીરામની ચરણ પાદુકા
હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર
રાશિવન જેમાં મુલાકાતીની રાશિ મુજબ ક્યું વૃક્ષ વાવેતર કરવું તેની માહિતી
ધનુષ્ય અને બાણ આકાર સાથેનો વિશાળ પ્રવેશદ્વાર
120 આર્ટિસ્ટિક બેન્ચ જેમાં લોકો બેસી પ્રકૃતિની મજા માણી શકે