ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનારી વનડે મેચોની શ્રેણી 6 ફેબ્રુઆરીથી થશે શરુ, ટીમ ઇન્ડિયા 1લી ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે વનડે સિરીઝ
અમદાવાદમાં રમાશે 3 વન ડે મેચોની શ્રેણી
ટીમ ઇન્ડિયા 1લી ફેબ્રુઆરીએ આવશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 વનડે મેચોની શ્રેણી રમાશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ આવતા સપ્તાહે 1 ફેબ્રુઆરી એટલે કે સોમવાર સુધીમાં અમદાવાદ પહોંચવાનું રહેશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયેલા તમામ ખેલાડીઓને સૂચના પણ આપી છે કે અહીં પહોંચ્યા પછી, કેપ્ટન રોહિત શર્મા અને બાકીની ટીમને 3 દિવસ માટે હોટલમાં કૉરન્ટીન કરવામાં આવશે. આ દરમિયાન ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પણ થશે. કૉરન્ટીન સમય પૂર્ણ થયા બાદ જ ખેલાડીઓ ODI શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી શકશે. કોરોનાને કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં રમાશે જેની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજાશે.
1લી ફેબ્રુઆરીએ આવશે ટીમ ઇન્ડિયા
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ્સ સ્ટાફના સભ્યો અને કોચ રાહુલ દ્રવિડ 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. આ પછી, દરેકને હોટલના રૂમમાં 3 દિવસ માટે કૉરન્ટીન રહેવું પડશે. આ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી વનડે શ્રેણી માટે પણ કેમ્પ યોજાશે. મહત્વનુ છે કે આ વખતે પણ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ પ્રવાસની જેમ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ખેલાડીઓને અમદાવાદ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પ્રવાસ દરમિયાન ખેલાડીઓ કોઈના સંપર્કમાં ન આવે પણ આમ થઇ શક્યુ નહી
રોહિત શર્માની કેપ્ટનસી
રોહિત શર્મા ફુલટાઇમ લિમિટેડ ઓવર કેપ્ટનના રુપમાં વેસ્ટઇન્ડીઝ સીરિઝથી ડેબ્યૂ કરશે. આ વર્ષ 2022ની ઇન્ડિયાની પહેલી હોમ સિરીઝ છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી, જેમાં યજમાન દેશે ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવ્યું હતું. આ પ્રવાસમાં ભારતને ટેસ્ટ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 વન-ડે સીરીઝ બાદ તે જ T20 સીરીઝ પણ રમાશે. તેની તમામ મેચો કોલકાતામાં યોજાશે.