દેશની સૌથી મોટી સરકારી બેંકે 1લી જુલાઇથી નિયમનું કડક અમલીકરણ કરતા અનેક ગ્રાહકોના એસબીઆઇ એકાઉન્ટ થયા સ્થગિત
SBIએ 1લી જુલાઇથી આ નિયમ બનાવ્યો કડક
કેવાયસી અપડેટ ન કરનારનું ખાતુ સ્થગિત કરાયુ
SBIના દેશભરમાં લગભગ 45 કરોડ ગ્રાહકોને ઝટકો
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે એ પણ ત્યારે જ જ્યારે ખાતામાં પગાર જમા થવાનો હોય. જી, હા એસબીઆઇએ 1લી જુલાઇથી કેટલાક ખાતાધારકોના એકાઉન્ટ ફ્રિઝ કરી દીધા છે કારણ કે તેમણે 1લી જુલાઇ સુધી KYC અપડેટ કર્યું નથી. બેંકના આ નિર્ણયને લઇને ઘણા ગ્રાહકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેઓએ એકાઉન્ટ ઓપરેટ પણ કરી શકતા નથી.
બેંક અધિકારીએ શું કર્યો દાવો ?
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોનું કહેવુ છે કે કેવાયસી અપડેટ કરવા માટે બેંક દ્વારા કંઇ કહેવામાં આવ્યુ ન હતું. જ્યારે SBIના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે એક સૂચના જાહેર કરવામાં આવી હતી અને ગ્રાહકોને વ્યક્તિગત પત્રો મોકલવામાં આવ્યા હતા, જેમાં તેમને અગાઉથી KYC અપડેટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પોર્ટલ પર પણ નથી કોઇ માહિતી
તો આ તરફ SBIના લોગિન પોર્ટલ પર KYC અપડેટ સંબંધિત આવી કોઈ માહિતી જોવા મળી નથી. ગ્રાહકોને આ અંગેની માહિતી ત્યારે જ મળે છે જ્યારે તેઓ ATM અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. મહત્વનું છે કે SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે અને તેના દેશભરમાં લગભગ 45 કરોડ ગ્રાહકો છે.
RBIની સલાહ
ઓનલાઈન છેતરપિંડીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની તમામ બેંકોને નિયમિતપણે KYC અપડેટ કરવાની સલાહ આપે છે. અગાઉ બેંકો ગ્રાહકોને 10 વર્ષમાં એકવાર KYC અપડેટ કરવા કહેતી હતી. પરંતુ હવે ઘણી બેંકો તેને ત્રણ વર્ષના અંતરાલ પર અપડેટ કરવાનું કહી રહી છે. SBI અધિકારીએ કહ્યું કે ઘણા એવા એકાઉન્ટ છે જેને અપડેટ કરવાની જરૂર છે. SBI સિવાય, અત્યાર સુધી અન્ય કોઈ બેંકે KYC અપડેટને કારણે ખાતા ફ્રીઝ કરવાની જાણ કરી નથી. હાલમાં તે માત્ર SBI પૂરતું મર્યાદિત છે.
તમે ઘરે બેઠા KYC અપડેટ કરી શકો છો
ગ્રાહકોએ સ્કેન કરેલ એડ્રેસ પ્રૂફ અને ઓળખ કાર્ડ તેમની સંબંધિત બેંક શાખામાં તેમના સત્તાવાર ઈમેલ અથવા પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે.
ખાસ ધ્યાન રાખો કે દસ્તાવેજો રજીસ્ટર્ડ મેઈલ આઈડી પરથી જ મોકલવામાં આવે.
કેવાયસી માટે, ગ્રાહકોએ ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ, પાન કાર્ડ સાથે તેમના સરનામાનો પુરાવો સ્કેન કરીને મોકલવો પડશે.
જો કોઈ સગીરનું ખાતું હોય અને તેની ઉંમર 10 વર્ષથી ઓછી હોય, તો તે ખાતું ચલાવનાર વ્યક્તિએ તેનું ઓળખ કાર્ડ આપવું પડશે.
જ્યારથી સમગ્ર ભારતમાં કોવિડ-19 અને લોકડાઉન શરૂ થયું ત્યારથી, SBI એ KYC દસ્તાવેજો ઑનલાઇન સ્વીકારવાનું શરૂ કર્યું છે જેથી ગ્રાહકોએ KYC અપડેટ માટે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર નથી.