કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે. CWCએ આ નિર્ણય પર સંમતિ આપી છે કે સોનિયા ગાંધી પક્ષના અંતિરમ અધ્યક્ષની જવાબદારી બીજા વર્ષ સુધી નિભાવશે.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
હાલ પૂરતા પાર્ટી નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં કરાય
પાર્ટી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી રહેશે યથાવત
મહત્વનું છે કે કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન, નેતૃત્વના પ્રશ્ન પર ખુલ્લી ચર્ચા થઈ. બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે હવે તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માંગતા નથી. પરંતુ ઘણા નેતાઓએ તેમને પદ પર ચાલુ રાખવા અપીલ કરી હતી.
સોનિયાએ કરી હતી રાજીનામાંની ઓફર
નોંધનીય છે કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ વચગાળાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. આ સાથે તેમણે પાર્ટીને નવા પ્રમુખની પસંદગી કરવાનું કહ્યું હતું. જો કે, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, એકે એન્ટની સહિતના ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને પદ પર ચાલુ રાખવા અપીલ કરી હતી.
આંતરિક વિવાદ ટાળવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે એક બાજુ સોનિયા ગાંધી આ પદ પર રહેવા માંગતા નથી જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા રાજી નથી. આવામાં પક્ષમાં એક એવો વર્ગ છે જે રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જ જોવા માંગે છે. આવામાં અંદરોઅંદર કોઈ નિર્ણય પર ન પહોંચેલી કોંગ્રેસે હાલમાં સોનિયા ગાંધીને જ અંતરિમ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ કારણે બેઠક બોલાવવામાં આવી હતી
મળતી માહિતી મુજબ CWCની આ બેઠક સોનિયા ગાંધીને લગભગ 2 અઠવાડિયા પહેલા લખેલા પત્રના જવાબ તરીકે બોલાવવામાં આવી હતી. CWCના સભ્યો, UPA સરકારના પ્રધાન અને સાંસદો સહિતના ઓછામાં ઓછા 23 નેતાઓએ સંગઠનના મુદ્દા પર સોનિયા ગાંધીને પત્રો લખ્યા હતા. પત્રમાં મજબૂત કેન્દ્રીય નેતૃત્વ સાથે પાર્ટી ચલાવવા માટે યોગ્ય વ્યૂહરચના પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે નેતૃત્વ એવું હોવું જોઈએ કે તે સક્રિય હોવું જોઈએ અને ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે ગાંધી પરિવાર વિરુદ્ધ પત્ર નહીં
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજયસિંહે પક્ષમાં પત્ર વિવાદ પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે આ પત્ર કોઈ પણ વ્યક્તિ અથવા ગાંધી પરિવાર વિરુદ્ધ નથી. તે માત્ર એક સૂચન હતું. સોનિયાજી પદ પોતાની પાસે રાખવા માટે તૈયાર નથી, આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ચાર્જ સંભાળવા તૈયાર છે, તો તે સારું છે, પરંતુ જો નહીં તો પાર્ટી નેતૃત્વ પાર્ટી બંધારણ હેઠળ વિચારે અને નિર્ણય લે.
બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સિલર સંદીપ તંવરે દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વના વિવાદમાં લોહી લુહાણ સાથે એક પત્ર લખ્યો હતો. તંવરે આ પત્ર રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની તરફેણમાં લખ્યો હતો. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, જો રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં નહીં આવે તો તે પાર્ટીના હિતમાં નિર્ણય નહીં હોય કારણ કે રાહુલ ગાંધી ગ્રાઉન્ડ લેવલ પર લડ્યાં છે.