દેશમાં એક તરફ જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને વિપક્ષી પાર્ટીઑ સરકાર પર હુમલાઓ કરી રહી છે ત્યારે શિવસેનાએ વિરોધી પાર્ટીઓ પર જ હુમલા કર્યા છે અને કહ્યું કે તમારે આત્મચિંતનની જરૂર છે.
લોકતંત્રના પતન માટે વિરોધી પક્ષો વધારે જવાબદાર : શિવસેના
રાહુલ ગાંધી સારું કામ કરી રહ્યા છે પણ નેતૃત્વ નથી : શિવસેના
અત્યારે સમય છે, શરદ પવાર બંગાળ જઈ રહ્યા છે ત્યારે બધા એક થઈને મમતાને સમર્થન આપી દો : શિવસેના
શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ?
શિવસેનાએ સામનામાં UPA અને તેની સહયોગી પાર્ટીઓ પર જોરદાર હુમલો કર્યો છે. ખેડૂત આંદોલન પર વિપક્ષી પાર્ટીઑ એક ના થઈ શકી તેને લઈને પણ નિશાન સાધવામાં આવ્યું છે. શિવસેનાએ કહ્યું કે ખેડૂત આંદોલનને આજે 30 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી કારણ કે સરકાર એવું વિચારે છે કે તેને કોઈ રાજકીય સંકટ નથી. કોઈ પણ લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે પણ કોંગ્રેસ મોદી સરકાર પર દબાણ બનાવવામાં નિષ્ફળ નિવિડી છે.
સામનામાં શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ એક રાજકીય સંગઠન છે પણ આ યુપીએ એક સેવાભાવિ સંસ્થા (એનજીઓ) જેવુ દેખાઇ રહ્યું છે. કોઈ પણ પાર્ટી આ ખેડૂત આંદોલનને ગંભીરતાથી લેતા નથી દેખાઈ રહ્યા છે અને યુપીએમાં કઈ પાર્ટી શું કરે છે તેને લઈને પણ ભ્રમ પેદા થઈ રહયો છે.
રાહુલ ગાંધી પર્યાપ્ત કામ કરે છે પણ..
શિવસેના અહિયા ન રોકાઈ. જેની સાથે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર ચલાવી રહી છે તે કોંગ્રેસ પાર્ટીને શિવસેનાએ ખૂબ સંભળાવી. સામનામાં લખવામાં આવ્યું કે રાહુલ ગાંધી પર્યાપ્ત કામ કરી રહયા છે પણ તેમના નેતૃત્વમાં કમી છે. કોંગ્રેસને ફૂલટાઈમ અધ્યક્ષની જરૂર છે અને યુપીએમાં ક્ષેત્રીય પાર્ટીઓની વધારે જરૂર છે પણ આવું દેખાઈ નથી રહ્યું. માત્ર શરદ પવાર જ યુપીએમાં દેખાય છે અને તેમની જ સ્વતંત્ર વિચારધારા છે. તેમના અનુભવનો લાભ તો પીએમ મોદી પોતે લે છે.
શરદ પવારમાં જ છે નેતૃત્વ
શિવસેનાએ કહ્યું કે યુપીએમાં ગડબડ છે અને વિપક્ષને એક થવા માટે એક નેતૃત્વની જરૂર છે. મમતા બેનર્જી અને રાજ્યોમાં અન્ય નેતાઑ પણ ભાજપ સામે લડાઈ લડી રહ્યા છે પણ આ બધા રાજનેતાઑ યુપીએમાં આવવા માંગતા નથી. હવે શરદ પવાર પ. બંગાળ જઈ રહ્યા છે અને આ જ સમય છે બધી જ વિપક્ષી પાર્ટીઓ એક થઈ જાઓ અને મમતા બેનર્જીને સમર્થન આપો તો જ ભાજપ પર દબાણ ઊભું થશે.
લોકતંત્રના પતન માટે વિરોધીઑ જવાબદાર
શિવસેનાએ કહ્યું કે અત્યારે લોકતંત્રનું તે પતન થઈ રહયું છે તેના માટે ભારતીય જનતા પાર્ટી કે મોદી-શાહ જવાબદાર નથી પણ વિરોધી દળ વધારે જવાબદાર છે. વર્તમાન સ્થિતિમાં સરકારને દોષ આપવાની જગ્યાએ વિરોધીઓએ આત્મચિંતન કરવાની જરૂર છે.
તમે બધા આત્મચિંતન કરો : શિવસેના
શિવસેનાએ રાહુલ ગાંધી વિષે વધુમાં કહ્યું કે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ખેડૂતોના સમર્થનમાં મોરચો કાઢ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય આંદોલન થયા છે પણ સરકારે તેને ગંભીરતાથી લીધા જ નથી. આ વિરોધી દળની દુર્દશા છે કારણ કે સરકારના મનમાં વિપક્ષની કોઈ ભૂમિકા જ નથી.