શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને હૃદયની તકલીફ થતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલાથી જ હાર્ટને લગતી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે હજુ થોડા દિવસો પહેલા જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
શિવસેના નેતા સંજય રાઉતની તબિયત ખરાબ
થોડા સમય પહેલા જ થઈ હતી એન્જિયોપ્લાસ્ટી
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. મેથ્યુ કરશે સારવાર
હજુ થોડા સમય પહેલા જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જો કે ફરીથી તેમને હૃદયની તકલીફ ઊપડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટર મેથ્યુ તેમની સારવાર કરશે એવી જાણકારી સામે આવી હતી. જો કે એક માહિતી અનુસાર ફરીથી ડૉક્ટર દ્વારા સંજય રાઉતની એન્જિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપવામાં આવી છે.
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતને ખાસ માને છે
શિવસેના નેતા સંજય રાઉત શિવસેનાના મુખ્ય પ્રવક્તા તેમ જ પાર્ટીના રાજ્યસભા સાંસદ છે, સાથે જ તેઓ શિવસેના મુખપત્ર સામનાના તંત્રી પદની જવાબદારી પણ સંભાળે છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના ઘણા ખાસ માનવામાં આવે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ ભાજપ સાથે યુતિ ભંગાણ અને કોંગ્રેસ અને NCP સાથે મહાવિકાસઆઘાડી નામનું ગઠબંધન બનાવીને સરકાર રચવામાં તેમની મોટી ભૂમિકા હતી.
રાજ્યના દરેક મુદ્દાઓને અગ્રિમ વાચા આપવા માટે તેઓ જવાબદાર છે. અભિનેત્રી કંગના રનૌત સાથેના વિવાદ, લવ જેહાદ જેવા મુદ્દાઓ, તાજેતરમાં પીડીપી સુપ્રીમો મહેબૂબા મુફ્તીના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદન અને હાલમાં યોગી આદિત્યનાથ સાથેના ફિલ્મ સિટીના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા.