કોરોનાની મહામારી વચ્ચે માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આપણાં સૌની સુરક્ષા માટે ખડેપગે રહેતાં પોલીસ જવાનના કોરોનાથી મોત થયું પણ પરિવારને મૃતદેહ આપવા માટે અમદાવાદની SGVP હોસ્પિટલે 1.32 લાખ રૂપિયાનું બિલ માંગ્યુ. જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પૈસા આપવાની બાહેંધરી આપી ત્યાર બાદ મૃતદેહ અપાયો.
SGVP હોસ્પિટલે કહ્યું બિલ ભરી દ્યો પછી મૃતદેહ લઈ જાવ
ક્રાઈમબાંચના IPSની મધ્યસ્થતાં બાદ SGVPએ મૃતદેહ આપ્યો
સમગ્ર ઘટનાની વાત કરીએ તો બે દિવસ પહેલાં અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI ગિરીશભાઈ બારોટનું કોરોનાના કારણે નિધન થયું હતું. કોરોના વૉરિયર એવા ગિરીશભાઈને કિડની અને ન્યુમોનિયાની બિમારી હોવાથી ડ્યુટી પરથી વાડજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્યાં સારવારની પૂર્ણ વ્યવસ્થા ન થતાં તેમને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલી SGVP સ્વામિનારાયણ સંસ્થાના પરિસરમાં આવેલી SGVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
1.32 બિલ માંગી કહ્યું પહેલાં ભરો પછી મૃતદેહ લઈ જાવ
અહીં SGVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન ASI ગિરીશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ટુંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. ગિરીશભાઈનું નિધન થતાં પરિવારજનો તેમનો મૃતદેહ લેવાં હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યારે SGVP હોસ્પિટલના તંત્રએ 1.32 લાખનું બિલ માંગ્યું અને કહ્યું કે જો બિલ નહીં આપો તો મૃતદેહ નહીં મળે.
AMCના અધિકારીઓએ પૈસા આપવાની બાહેંદરી આપી એટલે મૃતદેહ સોંપ્યો
ગિરીશભાઈના પરિવારજનોએ આ વાત ક્રાઈમબ્રાંચના સ્પેશિયલ CP અજય તોમરને કરતાં તેઓ તાત્કાલિક SGVP હોસ્પિટલ પહોંચ્યા હતા. અજય તોમરે કોર્પોરેશનના અધિકારીઓને બોલાવી મધ્યસ્થતા કરવા કહ્યું, ત્યાર બાદ AMCના અધિકારીઓએ SGVP તંત્રને 1.32 લાખ રૂપિયા અમે આપી દઈશું તેવી બાંહેધરી આપ્યા બાદ SGVPએ ગિરીશભાઈનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.