બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / '50 લાખની જમીનના 1 લાખ'રાજકોટમાં કિંમતી જમીન પાણીના ભાવે આંચકી લેતા ખેડૂતોમાં ઉગ્ર રોષ, વધુ વળતરની માંગ
Last Updated: 01:32 PM, 30 May 2026
Rajkot Farmers Protest : રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાનાવડાળા અને સાતોદળ ગામોમાં જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જામનગર-જૂનાગઢ માર્ગના એલાઈમેન્ટ અને માર્ગ વિસ્તરણની કામગીરી માટે ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ આપવામાં આવતું વળતર અત્યંત ઓછું હોવાનું ખેડૂતોનું કહેવું છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે ખેડુતો ?
ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમની જમીનની બજાર કિંમત પ્રતિ વીઘા લાખો રૂપિયામાં હોવા છતાં તંત્ર દ્વારા ખૂબ જ ઓછી કિંમત નક્કી કરવામાં આવી છે. આ કારણે વર્ષોથી ખેતી કરીને જીવનનિર્વાહ કરતા ખેડૂતોમાં નારાજગી અને રોષનો માહોલ સર્જાયો છે. ખેડૂતોનું માનવું છે કે તેમની કિંમતી જમીનને વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી ઓછી કિંમતે લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જામનગર-જૂનાગઢ રોડના વિકાસ કાર્ય અંતર્ગત માર્ગની પહોળાઈ વધારવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે. આ પ્રક્રિયામાં સાતોદળ અને કાનાવડાળા ગામના અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જતી હોવાથી તેઓ ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જમીન તેમની આવક અને જીવનનો મુખ્ય આધાર છે, તેથી યોગ્ય વળતર મળવું જરૂરી છે.
જામકંડોરણાના કાનાવડાલા ગામના ખેડૂતે ઠાલવી વ્યથા, 'અમને ઘડપણમાં રોટલો કોણ આપશે'#Jamnkandorna #Farmer #GujaratNews #FarmersPain #LandIssue #Agriculture #Rajkot #VTVDigital pic.twitter.com/lNGqiJxVAf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2026
ADVERTISEMENT
પ્રસ્તાવિત ટોલ નાકાને લઈ પણ અનેક સવાલ
આ તરફ કાનાવડાળા ગામ નજીક પ્રસ્તાવિત ટોલ નાકાને લઈને પણ સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે નવ ખેડૂતોની અંદાજે 45 વીઘા જમીન ટોલ નાકા માટે સંપાદિત થવાની સ્થિતિમાં છે. તેઓનો સવાલ છે કે જ્યારે માર્ગ સંપૂર્ણ ફોરલેન કે સિક્સ લેન સ્વરૂપમાં વિકસિત થતો નથી, ત્યારે ગામડાના વિસ્તારમાં ટોલ નાકાની જરૂરિયાત શા માટે ઊભી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
તંત્ર દ્વારા મોંઘી જમીન પાણીના ભાવે લઈ લેતા રાજકોટના જામકંડોરણાના કાનાવડાલા ગામના સરપંચે સરકારને કરી અપીલ#Rajkot #Jamkandorna #Farmers #LandIssue #Government #Village #Protest #VTVDigital pic.twitter.com/X7HC9faOkb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2026
આત્મવિલોપનનો પ્રયત્ન કરનાર ખેડૂતે શું કહ્યું ?
ADVERTISEMENT
આત્મવિલોપનનો પ્રયત્ન કરનાર ખેડૂત રાજેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ-જામનગર રોડ પર અમારી 50 લાખની જમીનના અમને લાખ રૂપિયા વળતર મળે છે. આ સાથે તેમણે કહ્યું કે, અમને જંત્રીથી ચાર ગણા ચૂકવવાની વાત હતી એના બદલે અમને ખાલી જંત્રી જેટલા જ ચૂકવે છે તે ક્યાંનો ન્યાય છે ? અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલન કરશું.

ADVERTISEMENT
શું કહ્યું કાના વડાળા ગામના સરપંચે ?
કાના વડાળા ગામના સરપંચ જગદીશ મકવાણાએ કહ્યું કે, અમારા ગામના ખેડૂતોને ઘણી તકલીફ છે. સસ્તા ભાવમાં સરકારે જમીન લઈ લીધી છે. રોડના કામ પૂરા કરતાં નથી અને જમીન લઈ લે છે. આથી અમારા ગામના ખેડૂતોને ન્યાય મળે તેવી સરકારને વિનંતી છે. આ સાથે કાં તો સરકાર જમીન દઈ દે અથવા યોગ્ય વળતર આપી દે.

શું કહ્યું ખેડૂત ભુપતસિંહ જાડેજાએ?
ખેડૂત ભુપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારી જમીન અહીં રોડને કાંઠે 10 વીઘા હતી, એમાંથી અઢી વીઘા સરકારે સંપાદન કરી 1 લાખ રૂપિયા વિધાએ આપ્યા છે. અહીં અમારે 50 લાખ રૂપિયા વીઘાના ચાલે છે. અમને યોગ્ય વળતર આપ્યું નથી અને સરકારે અન્યાય કર્યો છે. આ અમે ધારાસભ્ય, પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી છે.

શું કહ્યું ખેડૂત નિલેશ ચોવટિયાએ ?
ખેડૂત નિલેશ ચોવટિયાએ જણાવ્યું હતું કે, કાના વડાળા ગામમાં મારે 11 વીઘા જમીન છે, એમાંથી સરકારે પોણા 6 વીઘા જમીન સંપાદન કરી છે ટોલનાકા માટે. અહીં રોડતો ખાલી 11 મીટર જ પહોળો થાય છે તો ટોલનાકું શા માટે ? અમારી 50 લાખની કિંમતની જમીનના અમને એક લાખ રૂપિયા જ આપ્યા છે. અમારી માટે આવો અન્યાય કેમ ?

શું કહ્યું ખેડૂત વલ્લભભાઈ ગઢીયાએ ?
ખેડૂત વલ્લભભાઈ ગઢીયાએ કહ્યું કે, અમારી જમીન જુનાગઢ-જામનગર હાઇવે પર આવેલ છે અને જમીન બહુ કિંમતી છે. એ જમીનને સરકાર ટોલનાકા માટે લે છે ત્યારે અમને કોઈ જાતનું યોગ્ય વળતર મળતું નથી. અમારી પાસે 12 વીઘા જમીન હતી એમાંથી 9 વીઘા જમીન કપાતમાં જતાં હવે અમારી પાસે ત્રણ વીઘા જ જમીન વધતાં હવે અમારે અમારા છોકરાઓને કેમ ભણાવવા ? આ સાથે ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી હતી.

આ પણ વાંચો : મહેસાણામાં પાટીદાર યુવતીના મોત પર આગેવાન વરૂણ પટેલે પોલીસ-સમાજ પર ઉઠાવ્યા સવાલો
ખેડૂતોનું કહેવું છે કે, વિકાસ કાર્યોનો તેઓ વિરોધ કરતા નથી, પરંતુ તેમની જમીનના બદલામાં ન્યાયસંગત વળતર મળવું જોઈએ. કેટલાક ખેડૂતો જમીન સામે જમીન આપવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય ખેડૂતો બજાર ભાવ મુજબ યોગ્ય આર્થિક વળતરની માંગ ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે અનેક ખેડૂતો એકજૂથ થઈ પોતાની રજૂઆત તંત્ર સમક્ષ કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વિકાસ અને ખેડૂતોના હિત વચ્ચે સંતુલન જળવાય તે જરૂરી છે. જો યોગ્ય વળતર અથવા વૈકલ્પિક જમીનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. હાલ ખેડૂતો તંત્ર પાસેથી ન્યાયપૂર્ણ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.