આઇઆઇટી આઇએસએમ, ધનબાદે અત્યાધુનિક 5જી એન્ટીના તૈયાર કર્યુ છે. જે પ્રોજેક્ટની પુર્ણતા બાદ ફેબ્રુઆરી સુધી સરકારને સોંપી દેવાશે. એન્ટીનાની ફ્રિકવન્સી શાનદાર છે અને બેટરી લાઇફ પાંચ ગણી વધુ, જ્યારે આકાર અને વજન 4જી એન્ટીનાને બરાબર છે.
મોબાઇલ અને ઇન્ટરનેટમાં 5જીની શરુઆતની ભારતને આતુરતાથી રાહ છે. ધનબાદ સ્થિત આઇઆઇટી અને આઇએસએમને 5જી નેટવર્ક માટે એન્ટીના તૈયાર કરવાનો પ્રોજેક્ટ સોંપાયો હતો. સંસ્થાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અત્યાધુનિક એન્ટીના તૈયાર કરી દેવામાં આવ્યુ છે. તેના સિગ્નલ પ્રોસેસિંગનું કામ પણ પુરુ થઇ ચુક્યુ છે.
આઇઆઇટી આઇએસએમ ધનબાદના ઇલેકટ્રોનિક્સ એન્જિનિયરીંગ વિભાગના વૈજ્ઞાનિકોની ટીમે ખુબ મહેનત બાદ આ એન્ટીના બનાવ્યુ છે. આ પ્રોજેક્ટનુ નામ ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ મલ્ટી બેન્ડ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ કોમ્પેક્ટ મેટા મટિરિયલ એન્ટીના ફોર મોબાઇલ એપ્લીકેશન રાખવામાં આવ્યુ છે. એન્જિનિયરોના જણાવ્યા મુજબ 5જી નેટવર્કનુ એન્ટીના વિશેષ પ્રકારના તાંબા અને એફઆર-4 એપોક્સી મટિરિયલમાંથી બનાવાયુ છે.
એન્ટીના બનાવનાર ટીમના સભ્ય પ્રો. રાઘવેન્દ્ર કુમાર ચૌધરીએ જણાવ્યુ કે તેને બનાવવા માટે આઇએસએમને સરકારે 51.26 લાખ રુપિયાનું ફંડ આપ્યુ હતુ. ટીમમાં પ્રોફેસર રવિકુમાર ગંગવાર અને પ્રો. હિમાંશુ ભુષણ મિશ્રા સહિત અન્ય એન્જીનીયસ સામેલ હતા. અત્યાર સુધી 2જી, 3જી, 4જીનું મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ છે. તેમાં 1.6, 1.8, 2.1 અને 2.4 ગીગાહર્ટ્ઝ સુધીના બેંડવિથનો ઉપયોગ થતો હતો. અમે 5જી માટે 6 ગીગાહર્ટ્ઝના બેંડવિથનો ઉપયોગ કર્યો.
5જી નેટવર્કથી શું ફાયદો થશે
- એન્ટીનાને હેક કરવા પણ હેકર્સ માટે સરળ નહીં હોય.
- બેટરી લાઇફ પાંચ ગણી વધુ છે.
- આકાર અને વજન 4જી જેટલું જ છે.
- 4જીની તુલનામાં 20 ગણી વધુ સ્પીડ મળશે.
- ડેટા ડાઉનલોડ અને અપલોડ થવામાં ખુબ ઓછો સમય લાગશે
- કન્ટેન્ટ, વિડિયો અને અન્ય સેવાઓની બહેતર ક્વોલિટીના કારણે લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.