કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનના કારણે ખેત પેદાશોના ભાવ રાતો રાત ગગડી પડ્યા છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે કોંગ્રેસના ખેડૂત અગ્રણી નેતા પાલ આંબલીયાએ ગઈકાલે રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કરી વિરોધ કર્યો તો પોલીસે તેની અટકાયત કરતાં ખેડૂતોનો મુદ્દો અને પાલ આંબલીયાની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ખુદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી સરકારને અત્યાચારી ગણાવી છે.
DCP જાડેજાએ કહ્યું માર માર્યો હશે તો તપાસ કરીશું, મને ખબર નથી
પોલીસ અને સરકાર પાલભાઈ અને ખેડૂતોની માંફી માંગેઃ અમિત ચાવડા
કોંગ્રેસ કિસાન સેલનાં નેતા પાલ આંબલિયા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં કલેક્ટર કચેરી ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈ વિરોધ કરવાં પહોંચ્યા હતા. પાલ આંબલિયાને વિરોધ વચ્ચેથી પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ લોકઅપમાં પુરાયા હતા. જો કે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી વિવાદ વધુ વકર્યો છે, તેમને લોકઅપમાં માર મારવા અંગે DCP જાડેજાએ તપાસ કરીશું એવું રટણ કર્યું છે. પોલીસે આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી માત્ર તપાસ કરવાની વાતો કરી છે.
અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું...
પાલ આંબલિયાની ધરપકડ અને ખેડૂતોને ન મળતાં પોષણક્ષમ ભાવ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ચાવડાએ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કર્યા હતા. પાલભાઈ ખેડૂતોના પ્રશ્નને વાચા આપી તો પોલીસે ઢોર માર માર્યો. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને અત્યાચારી છે. રાજકોટ પોલીસ CM રૂપાણીના ઈશારે પાલભાઈને મારી રહી છે.
ખેડૂતોના હક માટે લડવું આ સરકારમાં ગુનો છેઃ ચાવડા
ચાવડાએ વધુમાં ઉમેર્યું કે પોલીસ અને સરકાર ખેડૂતો અને પાલભાઈની માંફી માંગે. અને જે પોલીસ અધિકારીઓએ માર માર્યો છે એમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ. રાજકોટમાં મુખ્યમંત્રીનું હોમટાઉન છે એટલે પોલીસ બધુ ઢાંકવા માંગે છે. અને હોમટાઉનમાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના હક માટે લડવું એ ગુનો છે.