અમરેલીના ગ્રાઉન્ડમાં 20 નવેમ્બરે નરેન્દ્ર મોદીની તો 22 નવેમ્બરે રાહુલ ગાંધીની રેલી યોજાવાની છે અને આ રેલીને 'મોદી vs રાહુલ'ના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની એન્ટ્રી
કોંગ્રેસ ભાજપની રેલી કરતાં મોટી ભીડ લાવવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યાર સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે પણ અમરેલીમાં 22 નવેમ્બરે એક મોટી જાહેરસભા દ્વારા રાહુલ ગાંધીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી થઈ રહી છે. પાર્ટીને આશા છે કે એમની એન્ટ્રી સાથે જ અમરેલી તેમજ આસપાસના વિસ્તારોની બે ડઝનથી વધુ બેઠકો પર અસર થશે અને કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓને મજબૂત બનાવશે. પણ રાહુલ ગાંધીની રેલી પહેલા ખાસ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર રેલી પણ 20 નવેમ્બરે અમરેલીના આ જ ગ્રાઉન્ડમાં યોજાવાની છે અને એટલા માટે જ અચાનક આ રેલીને 'મોદી vs રાહુલ'ના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. હાલ કોંગ્રેસ ભાજપની રેલી કરતાં મોટી ભીડ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે.
જો કે આવું પહેલીવાર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે અમરેલી જઈ રહ્યા હોય, ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ એમને ભાજપ માટે આ રીતે જ જોરદાર પ્રચાર કર્યો હતો પણ તેનો કોઈ ખાસ ફાયદો ભાજપને મળી શક્યો નહોતો. અમરેલીની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો (અમરેલી, રાજુલા, લાઠી અને સાંવરકુંડલા) કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા અને એક બેઠક ભાજપના ઉમેદવારને જીત મળી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસ રાહુલ ગાંધીની અમરેલી રેલી બાદ વધુ એક રેલીનું આયોજન કરીને પાર્ટીના ચૂંટણી પ્રચારને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે અને દરમિયાન બીજા ટોચના નેતાઓના કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે.
પ્રચારને બૂસ્ટર ડોઝ મળશે - અર્જુનભાઈ મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, મીડિયા પ્રચારથી દૂર રહીને કોંગ્રેસ પાયાના સ્તરે પ્રચારમાં વ્યસ્ત છે અને તેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે. કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં મજબૂત બનવાની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ પોતાનો જન આધાર મજબૂત રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી તેમના લોકપ્રિય નેતા છે, તેમની અમરેલી મુલાકાત પાર્ટીના પ્રચારને બુસ્ટર ડોઝ આપશે. સમગ્ર ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે રાહુલ ગાંધીની વધુ એક જાહેરસભા પણ યોજાશે.
આગળ એમને કહ્યું હતું કે 'ભારત જોડો યાત્રા'થી રાહુલ ગાંધીની જન નેતા તરીકેની છબી ઉભરી આવી છે અને તેનાથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પાર્ટીને મજબૂત કરવામાં મદદ મળશે. આગામી દિવસોમાં રાહુલ ગાંધીની સાથે પાર્ટીના અન્ય ટોચના નેતાઓની જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવશે.' આ સાથે જ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે ભાજપના 27 વર્ષના શાસન દરમિયાન જનતામાં પેદા થયેલ એમનો ગુસ્સો તેમની સૌથી મોટી તાકાત છે અને તેઓ આ ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવી શકશે.
AAP વિશે વાત કરતાં એમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અહીં આવવાથી કોઈ મોટી અસર થવાની નથી અને ગુજરાતના લોકો તેમને વોટ કટીંગ પાર્ટી તરીકે જોઈ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે કોંગ્રેસે પણ 300 યુનિટ વીજળી, 500 રૂપિયામાં સિલિન્ડર અને લોન માફી જેવી જાહેરાતો કરી છે એટલા માટે આમ આદમી પાર્ટીનો દાવો હવે નબળો પડી ગયો છે. તેમનો દાવો છે કે ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ બનવાનું આમ આદમી પાર્ટીનું સપનું પૂરું નહીં થાય અને તેનું ખાતું ખોલવું મુશ્કેલ બનશે.