ભાવનગરમાં એક જ રાતમાં 4 લોકોની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. શહેરના તળાજામાં જુની અદાવત રાખીને કરવામાં આવેલા ફાયરિંગમાં 3 શખ્સોના મોત થઇ ગયા છે. જયારે ભાવનગરના કુંભારવાડામાં પરેશ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે તળાજાની ખોજા સોસાયટીમાં રહેતા બે જુથ વચ્ચે જુની અદાવતની દાઝ રાખી રવિવારે મોડી રાત્રે અથડામણ થતા પ્યારઅલી અલારખભાઈ માધવાણી અને તેના પુત્રો ઉપર ગુલુભાઈ ભુરાણી અને તેના સંતાનો અને પરિવારજનો દ્વારા ઉશ્કેરાઈ જઈ ફાયરિંગ અને સશસ્ત્ર હથિયારો સાથે હુમલો કરતા 60 વર્ષીય પ્યારઅલી અલારખભાઈ માધવાણી અને તેના બે સંતાન અલી હુસૈન પ્યારઅલી માધવાણી તેમજ અબ્બાસઅલી પ્યારઅલી માધવાણીના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે મહેંદી મહમદઅલી માધવાણીને ઈજા થઈ હતી. આ ઘટનામાં મરણ પામનાર પરિવાર મૂળ દેવગાણાના વતની અને હાલ ખોજા સોસાયટીમાં રહેતા અને તળાજાની શાકમાર્કેટમાં રેડીમેઈડ ચંપલની દુકાન ધરાવે છે.
આ બનાવ અંગેની જાણ થતા ભાવનગર શહેર અને તળાજા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. ભાવનગર ક્રાઈમબ્રાન્ચ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો આ ઘટના અંગે તપાસ માટે તળાજા દોડી ગયો હતો. નવરાત્રીમાં દાંડીયારાસના કાર્યક્રમ પુરા થયા બાદ આ ઘટના ઘટતા તળાજામાં સનસનાટી મચી ગઈ હતી.