પોતાનો વિરોધ વ્યક્ત કરવા ભારતના નેતાઓ કઈ હદ સુધી જઈ શકે તેનો કિસ્સો તાજેતરમાં જ જોવા મળ્યો. જેમાં કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે છેલ્લાં બે દિવસથી વિધાનસભા હોલ છોડીને બહાર જઇ રહ્યાં નથી. કૉંગ્રેસના ધારાસભ્યોએ સોમવારના રોજ રાજ્યની શિરોમણી અકાલી દળ-BPJ ગઠબંધન સરકારની વિરૂદ્ધ કેટલાય મુદ્દાઓ પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગણી કરી હતી. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની માંગણી કરી રહ્યાં હતાં પરંતુ સ્પીકરે તેમની માંગણીને નકારી દીધી હતી. આથી પંજાબ વિધાનસભામાં રાજ્યના રેવન્યુ મંત્રી અને મુખ્યમંત્રીના જમાઈ વિક્રમ સિંહ મજેઠિયા પર કૉંગ્રેસના ધારાસભ્ય તરલોદચંદ સિંહ સૂદે જૂતું ફેંકયું.
આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ આ પ્રકારની પહેલી ઘટના છે. કૉંગ્રેસના આ 22 ધારાસભ્યો મંગળવારના રોજ સતત બીજા દિવસે પણ વિધાનસભાની અંદર બંધ રહ્યાં. આ બધા જ ધારાસભ્ય સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની તક ન આપવાથી નારાજ છે. શરૂઆતમાં 27 લોકો હતા પરંતુ કેટલાંક ધારાસભ્યોની તબિયત લથડી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સોમવારના રોજ જોકે પાર્ટીની 4 મહિલા ધારાસભ્ય પણ વિધાનસભામાં રોકાઈ હતી પરંતુ મંગળવારના રોજ પાર્ટીએ તેમને ઘરે જવાનો નિર્દેશ આપ્યો હતો.
ધારાસભ્યોને વિધાનસભા કક્ષમાંથી બહાર કાઢવા માટે વીજળી કાપીને લાઈટ્સ અને એસી પણ બંધ કરી દીધા. છતાંય બધા જ ધારાસભ્યોએ પોત-પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને કામ કરતાં રહ્યાં. છેલ્લાં બે દિવસથી રાત્રે પણ આ બધા વિધાનસભા હોલની અંદર જ સૂઈ જાય છે. કૉંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી અમારી વાત સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી આ ધારાસભ્યો વિધાનસભાને છોડશે નહીં. નોંધનીય છે કે જાન્યુઆરી 2017મા પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની પહેલાં આ છેલ્લું વિધાનસભા સત્ર છે.