સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં 1200 લોકો ફોજમાં ભરતી થઇ રાત દિવસ દેશની રક્ષા કરે છે.
કોડીયાવાડા ગામની વસ્તી 6500 જેટલી છે. ગામમાં 700 ઘર આવેલા છે. અહીં ઘર દીઠ એકથી બે લોકો આર્મી સી.આર.પી.એફ બી.એસ.એફ સહિત પોલીસ ફોર્સમાં જોડાઈ દેશની રક્ષા કરે છે. આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકામાં આવેલ કોડીયાવાડા ગામ દેશ માટે એક મિશાલ બની ગયું છે.
દેશની રક્ષા કરવા જોડાયેલા જવાનોમાંથી ગામના જ જીગ્નેશ પટેલે શહીદી પણ વહોરી છે. છત્તીસગઢમાં સી.આર.પી.એફ માં ફરજ બજાવતા કોડીયાવાડાનાં સપૂત જીગ્નેશ વાઘજીભાઈ પટેલ તેમની સર્વિસનાં પાચ વર્ષની નોકરીમાં ત્યાં ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં 9 ઓગસ્ટ 2014નાં રોજ શહીદ થયા હતા. દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલા વીર સપૂતનાં પરિવારજનો ગર્વની લાગણી વ્યક્ત કરે છે. જીગ્નેશના પિતા વાઘજીભાઈ પટેલ પણ હાલ સી.આર.પી.એફમાં નોકરી કરે છે. ગામમાં શહીદી વહોરનાર આ એક માત્ર યુવાન છે.
કોડીયાવાડા ગામના ઘણા જવાનો નોકરી પૂરી કરી ગામમા જ રહે છે. અલગ અલગ ફોર્સમાં ફરજ બજાવતા ગામના ઘણા જવાનો રીટાયર પણ થયા છે અને નવા જવાનો ફોજમાં ગયા પણ છે.