એક તરફ સરકાર દ્વારા પાટીદાર આંદોલનને લઈને સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે તો એક નવી ચર્ચાએ જોર પકડયું છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. જી હા અનામતનો લાભ મેળવવા માટે છેલ્લા 9 મહિનાથી આંદોલન કરતા પાટીદારોને સ્પેશિયલ બેકવર્ડ કલાસમાં સમાવવામાં આવે એવી શકયતાની ચર્ચા ચાલી રહી છે. આગામી ત્રણેક દિવસમાં સરકાર તેની જાહેરાત કરી શકે છે એવી ચર્ચાએ પાટીદારોમાં જોર પકડ્યું છે. જેનાથી આંદોલન પર પૂર્ણ વિરામ લાગી જશે.જો કે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી. તો બીજીતરફ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ પોતાની માંગને વધુ પ્રબળ બનાવી છે અને ઠાકોર સમાજને પણ પાટીદારો સાથે સ્પેશીયલ બેકવર્ડ કલાસમાં સમાવવા ચીમકી ઉચ્ચારી છે.
શંકરસિંહ વાઘેલાના ચાબખા
તો પાટીદારોને SBCમાં સમાવવાની ચર્ચાને લઈને શંકરસિંહ વાઘેલાએ પણ સરકારને ચાબખા માર્યા છે અને સરકાર મતનું રાજકારણ રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તો સાથે જ શંકરસિંહ વાઘેલાએ સરકારને આર્થિક રીતે પછાત લોકો માટે ઈકોનોમીકલી બેકવર્ડ કલાસમાં 20 ટકા અનામત આપવાની તરફેણ કરી હતી.
લાલજી પટેલનો લલકાર
આગામી 17 એપ્રિલે યોજાનારા એસપીજીના જેલભરો આંદોલનને સફળ બનાવવા આજે મહેસાણાના ગોઝારીયા ખાતે એસપીજીની સભાનું આયોજન કરાયુ હતુ. એસપીજી દ્વારા આયોજીત કરાયેલી આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. તો બીજી તરફ જેલભરો આંદોલન સંપૂર્ણ સફળ થવાનો લાલજી પટેલે દાવો કર્યો છે. લાલજી પટેલે કહ્યુ હતુ કે અમારો આ કાર્યક્રમ પાટીદાર ભાઇઓને જેલમાંથી છોડાવવા માટેનો છે અને અત્યાર સુધીમાં 1 લાખ પાટીદારોએ જેલભરો આંદોલનમાં હાજર રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધુ હોવાનો લાલજી પટેલે દાવો કર્યો છે.
પોલીસે આ વખતે પાણી આવતા પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું
તો લાલજી પટેલના આ દાવાથી મહેસાણા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને 17 તારીખે આંદોલનને પગલે કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાટીદાર આંદોલનને પગલે રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ કથળી હતી. જેને લઈને પોલીસે આ વખતે પાણી આવતા પહેલા જ પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે.
જેલભરો આંદોલનના પડઘા
તો આ તરફ બોટાદમાં પણ જેલભરો આંદોલનના પડઘા પડયા હતા. ગુજરાત પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ બોટાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં જણાવ્યું હતું કે એસ પી જીના જેલ ભરો આંદોલનને ગુજરાત પાસ સમર્થન આપે છે.
પાસના કન્વીનર રવિ પટેલની ફરી વધુ એક વાર અટકાયત
સાબરકાંઠાના પાસના કન્વીનર રવિ પટેલની ફરી વધુ એક વાર અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે હિંમતનગર ખાતે ઓન લાઇન ઘઉંનુ વેચાણ કરવાની સુવિધાને ખુલ્લી મુકવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન હાજરી આપવાના હતા. જો કે કાર્યક્રમમાં ફેરફાર થતા મુખ્યમંત્રીના સ્થાને કૃષિ પ્રધાન બાબુભાઇ બોખિરીયા હાજર રહેવાના હતા. આ કાર્યક્રમમાં પાટીદારો કોઇ પણ જાતનો વિરોધ ના કરે તે માટે સામજિક પ્રસંગમાંથી રવિ પટેલની અટકાયત કરવામાં આવી હતી. જેને લીધે પાટીદારો રોષે ભરાયા હતા અને પાટીદારોનું ટોળુ પોલીસ સ્ટેશન ઘસી આવ્યું હતુ.