ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:45 AM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા અચાનક પૂરથી રસુવા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 157થી વધુ મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 160થી વધુ લોકો ઘાયલ થયા છે. એક હજારથી વધુ લોકો લાપતા હોવાની માહિતી છે જેમાં 290થી વધુ વિદેશી પ્રવાસીઓ અને કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 133 યાત્રીઓ પણ સામેલ છે. હવે નેપાળમાંથી નીકળેલું પાણી ભારતની નદીઓમાં પહોંચવાની શક્યતાને પગલે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તિબેટ સરહદને અડીને આવેલા નેપાળના વિસ્તારોમાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરથી ભારે નુકસાન થયું છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક પાણી વધતા રસુવા સહિત આસપાસના જિલ્લાઓમાં સ્થિતિ વણસી ગઈ છે. નેપાળ પોલીસના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 157થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 160થી વધુ લોકો ઘાયલ થયા છે. એક હજારથી વધુ લોકો લાપતા છે જેમાં નેપાળ ફરવા આવેલા 290થી વધુ વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સામેલ છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 133 યાત્રીઓ પણ લાપતા લોકોમાં સામેલ હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
પૂરના પાણીના જોરે 19થી વધુ મોટરેબલ પુલ તૂટી ગયા છે. 40 કિલોમીટરથી વધુ રસ્તાઓ અને 8થી વધુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. કાઠમંડુને જોડતા અનેક નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે નેપાળ સરકારે સેનાના જવાનો ઉપરાંત સશસ્ત્ર પોલીસ દળ અને પોલીસના 30 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા છે. દુર્ગમ અને સંપર્કવિહોણા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેના અને ખાનગી કંપનીઓના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

ADVERTISEMENT
તિબેટ સરહદ પાસે નદીમાં હજુ પણ મોટી માત્રામાં કાટમાળ પડેલો છે. જેના કારણે નિષ્ણાતોએ ફરીથી ઝડપથી પૂર આવવાની ચેતવણી આપી છે. નેપાળની ભોટેકોશી નદીનું પાણી આગળ જઈને ત્રિશૂલી નદીમાં મળે છે. ત્રિશૂલી નદી આગળ જઈને નારાયણી નદી બને છે અને ભારતની સરહદમાં પ્રવેશ્યા બાદ તેને ગંડક નદી તરીકે ઓળખવામાં આવે છે. નેપાળના અન્ય કેચમેન્ટ વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે કોસી, ઘાઘરા અને રાપ્તી જેવી નદીઓમાં પણ પાણીનું દબાણ ઝડપથી વધવાની આશંકા છે.
ADVERTISEMENT
આ પાણી આજે અલગ અલગ સમયે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રવેશી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નેપાળમાં તારાજી સર્જનાર પૂરના પાણી આગામી 12થી 24 કલાકમાં ભારત પહોંચી શકે છે. બિહારમાં વાલ્મીકિનગર બેરેજનું જળસ્તર 1 લાખ ક્યુસેકથી વધીને 3 લાખ ક્યુસેક સુધી પહોંચવાની આશંકા છે. જો આવું થાય તો બંધ અને તટબંધ તૂટવાનો ખતરો વધી શકે છે. સાથે જ બિહાર અને પૂર્વાંચલના સેંકડો ગામો પાણીમાં ગરકાવ થઈ શકે છે અને હજારો હેક્ટર ઊભા પાકને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
ભારતમાં સૌથી વધુ ખતરો બિહાર પર છે. ખાસ કરીને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આજે સ્થિતિ ગંભીર બની શકે છે કારણ કે ગંડક નદી નેપાળમાંથી આ જ જિલ્લામાં ભારત પ્રવેશ કરે છે. પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર જિલ્લામાં પણ પૂરનો ખતરો છે. કોસી નદીનું જળસ્તર વધવાથી સેહરસા અને સુપૌલ જિલ્લામાં પણ સ્થિતિ બગડી શકે છે.
ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ અને કુશીનગર જિલ્લામાં ખતરો રહેશે. ગંડક અને નારાયણી નદીના પ્રવાહથી આ બંને જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ગોરખપુર, દેવરિયા અને શ્રાવસ્તીમાં રાપ્તી અને ઘાઘરા નદીના પાણીમાં ઉછાળો આવી શકે છે. જેના કારણે આ જિલ્લાઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. ગંડક નદીમાં પાણીનો પ્રવાહ વધતાં બગહામાં 3 મીટર સુધી ઊંચા મોજાં ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેપાળ પૂર: ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર! PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી, ભારત મદદ માટે તૈયાર
પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ આયોગ અને NDRFએ બિહાર તથા ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાલ્મીકિનગર ગંડક બેરેજના તમામ 36 ગેટ તબક્કાવાર ખોલવામાં આવ્યા છે જેથી પાણીના ભારે દબાણથી બેરેજના માળખાને નુકસાન ન થાય. આ નદીઓમાંથી નીકળતી નહેરોમાં પાણીનો પુરવઠો પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. બિહારના પાંચ મુખ્ય સરહદી જિલ્લાઓમાં નીચાણવાળા અને નદીના તટબંધની અંદર આવેલા ગામોને તાત્કાલિક ખાલી કરાવીને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
બિહાર અને ઉત્તર પ્રદેશના અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની વધારાની ટીમો બોટ અને લાઇફ સેવિંગ ગિયર સાથે તૈનાત કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પૂર અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. બિહારના 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે વાત કરી અને તમામ મદદનો વિશ્વાસ આપ્યો છે.
નેપાળના પૂરના પાણીથી બગહા, મોતિહારી, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર પર સૌથી વધુ ખતરો હોવાનું જણાવાયું છે. આગામી 5થી 6 કલાકથી લઈને આખી રાત સુધી એલર્ટ રહેવાની જરૂરિયાત છે. હાલમાં ગંડક બેરેજમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીનું સ્તર સતત વધતા બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક કરી છે.
બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા બિહારના લોકોને ભારત આવવા દેવામાં આવી રહ્યા છે જ્યારે બિહારમાં ફસાયેલા નેપાળના લોકોને નેપાળ જવા દેવામાં આવી રહ્યા છે. અન્ય લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગર જિલ્લા પ્રશાસનને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર સામે જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી છે. નેપાળમાં જે રીતે પૂરે વિનાશ વેર્યો છે તેવી જ સ્થિતિ ભારતના સરહદી વિસ્તારોમાં ન સર્જાય તે માટે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ