ભારતમાં અત્યાર સુધી ઘણા ઓછા એવા વડાપ્રધાન થયા છે જે દસ વર્ષ કે તેથી વધુ સત્તામાં રહ્યા હોય, આ બધા જ પ્રધાનમંત્રી માટે તેમના કાર્યકાળમાં સાતમું વર્ષ એવું રહ્યું જે તેમને હચમચાવી ગયું.
ભારતમાં ખૂબ ઓછા એવા પ્રધાનમંત્રી જેઓ દસ વર્ષથી વધુ સત્તામાં રહ્યા
જવાહર લાલ નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીના પ્રધાનમંત્રી માટે કાર્યકાળનું સાતમું વર્ષ ખૂબ ભારે
ક્યારેક ચીન તો ક્યારેક ઈમરજન્સી તો ક્યારેક કોરોના બન્યું સંકટ
વિશ્વ આજે 100 વર્ષના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. જ્યારે કોઈ દેશ પર સંકટ આવે ત્યારે જ જે તે શાસકની અગ્નિ પરીક્ષા અને તેની ક્ષમતા જાણી શકાય છે.
ભારત પર પણ યુદ્ધથી લઈને મહામંદી તથા ભૂખમરી અને હવે કોરોના જેવા મોટા સંકટ આવ્યા છે. એવામાં એક રસપ્રદ માહિતી સામે આવી છે કે ભારતમાં જેટલા પ્રધાનમંત્રીઓ સાત કે તેથી વધારે સમય સુધી પદ પર રહ્યા છે તે બધા માટે સાતમું વર્ષ ખૂબ ભારે રહ્યું છે. જવાહર લાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મનમોહન સિંહ તથા નરેન્દ્ર મોદી.
જવાહરલાલ નહેરુ :
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ તેમના સમયમાં ખૂબ જ લોકપ્રિય રાજનેતા હતા. નહેરુ સામે પહેલો મોટો પડકાર કશ્મીરના રૂપે આવ્યો હતો. જોકે તે બાદ તેઓ તેમાંથી બહાર આવ્યા અને તે સમયે ચાચા નહેરુ જિંદાબાદ જેવા નારા દેશના બાળકો લગાવતા હતા. પછી આવ્યો તેમના કાર્યકાળમાં સાતમું વર્ષ. આ જ વર્ષમાં દલાઇ લામા તિબેટથી પોતાનો જીવ બચાવીને ભારત આવ્યા હતા જે બાદ ચીને સરહદ પર આડોડાઈ શરૂ કરી દીધી. માનવામાં આવતું કે નેહરુ ચીનથી ઘણા પ્રભાવિત હતા અને તેના લીધે સંસદમાં તેમની ખૂબ ટીકા પણ થતી. આ જ વર્ષમાં નેહરુએ એવું નિવેદન પણ આપી દીધું કે જેની આજે પણ નિંદા કરવામાં આવે છે, તેમણે ભારતની કોઈ સીમા માટે કહ્યું હતું કે ત્યાં તો ઘાસ પણ નથી ઊગતી. જેના જવાબમાં વિપક્ષે કહ્યું હતું કે તમારા માથા પર પણ કઈ નથી ઊગતું, તો તેનું શું કરીએ? નેહરુના કાર્યકાળના સાતમા વર્ષમાં ઊભી થયેલી પરિસ્થિતિઓ જ વર્ષ 1962માં હારનું કારણ બની.
ઇન્દિરા ગાંધી :
પંડિત જવાહરલાલ નેહરુના દીકરી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. જ્યારે તેમણે પદ સંભાળ્યું ત્યારે તેમને 'ગૂંગી ગુડિયા' મૌન ઢીંગલી કહેવામાં આવતા હતા. જોકે જોતજોતામાં તેમની લોકપ્રિયતા વધતી ગઈ. ગરીબી હટાવોના નારા સાથે આખા દેશમાં તેમની નામના થઈ ગઈ કે તેઓ ગરીબોના નેતા છે. 1971માં જ્યારે પાકિસ્તાનના ઊભા ફાડિયા થયા ત્યારે પણ ઇન્દિરા ગાંધીના ભરપૂર વખાણ થયા. પણ પછી ઇન્દિરાના ગાંધીના કાર્યકાળમાં પણ આવ્યું સાતમું વર્ષ.
ઇન્દિરા ગાંધીના કાર્યકાળનું સાતમું વર્ષ એટલે વર્ષ 1975. ગુજરાત અને બિહારમાં વિદ્યાર્થીઓ આંદોલન 1974 વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું હતું. પરંતુ 12 જૂન 1975ના રોજ ઇલાહાબાદ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીના 1971ના નિર્વાચનને રદ્દ કરી દીધું. બીજી તરફ વિદ્યાર્થી આંદોલન આગની જેમ ફેલાયું. આજના મોટા નેતા જેવા લાલૂ પ્રસાદ યાદવ, લાલકૃષ્ણ આડવાણી અને નરેન્દ્ર મોદી, આ બધા જ નેતાઓ તે આંદોલનની જ દેન છે. આંદોલનમાં જેપી સૌથી મોટા નેતા બનીને ઉભર્યા હતા ત્યારે જેપી સહિતના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. પ્રેસ સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી. વીસ સૂત્રીય કાર્યક્રમ ચાલ્યો અને તે બાદ વસ્તી ઘટાડવા માટે નસબંધીઓ કરવામાં આવી. જોકે અંતે 1977માં ઈમરજન્સી હટાવી દેવામાં આવી અને તે બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ભયંકર રીતે હારી ગઈ.
ડૉ. મનમોહનસિંહ :
વર્ષ 2004માં ભાજપની હાર બાદ કોંગ્રેસે મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા. ઓછું બોલવાના કારણે ભાજપ તેમની ઠેકડી ઉડાવતી પરંતુ તેમના કાર્યકાળમાં ભારત આર્થિક ઊંચાઈઑ પર પહોંચ્યો. વિકાસ દર આઠથી નવ ટકાની આસપાસ પહોંચી ગયો. તેમણે સેલ્સ ટેક્સમાં સરળતા કરી અને વેટ બનાવ્યો. મનરેગા, અમેરિકા સાથે ન્યૂક્લિયર ડીલ તથા એક સમય પર જીડીપી 10.08 ટકા પર પહોંચ્યો તે તેમની ઉપલબ્ધતા રહી. પણ પછી મનમોહનસિંહના કાર્યકાળમાં પણ આવ્યું સાતમું વર્ષ.
મનમોહનના સિંહના કાર્યકાળમાં 2011નું વર્ષ આવતા જ અન્ના હજારેનું આંદોલન ચાલુ થયું. આખો દેશ આ આંદોલનમાં જોડાઈ રહ્યો હતો. તેમની ટીમમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને યોગેન્દ્ર યાદવ હતા. અન્ના આંદોલન બાદ ભલે જનલોકપાલ ન બન્યું પણ કોંગ્રેસને આ આંદોલન બાદ જે ઝટકો લાગ્યો તે બાદ કોંગ્રેસ સત્તા પર આવી જ નથી શકી.
નરેન્દ્ર મોદી :
વર્ષ 2014માં સબકા સાથ સબકા વિકાસના નારા સાથે ભાજપ ફરીથી સત્તામાં આવી, કારણ હતું નરેન્દ્ર મોદીનો ચહેરો. નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ અને તેજ તર્રાટ ભાષણોથી પ્રજાએ પૂર્ણ બહુમત સરકાર બનાવી અને સિંહાસન પર બેઠા નરેન્દ્ર મોદી. પીએમ મોદીનો કાર્યકાળ શરૂ થયા પછી ઘણા બધા કામોના કારણે તેમની લોકપ્રિયા હજુ વધી ગઈ, એક બાદ એક બાદ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ ફતેહ કરવા લાગી. સ્વચ્છ ભારત, ઉજ્જવલા, જીએસટી, બીજા કાર્યકાળમાં ધારા 370નો ખાતમો, અયોધ્યા રામમંદિર માટે ભૂમિપૂજન જેવા અનેક કામોથી પ્રધાનમંત્રી મોદીની ઈમેજ અને ભારતીય જનતા પાર્ટીની પકડ વધુ મજબૂત બની. પરંતુ જેમ અન્ય વડાપ્રધાનનું સાતમું વર્ષ ભારે રહ્યું તેમ નરેન્દ્ર મોદી માટે તેમના કાર્યકાળમાં સાતમું વર્ષ ભારે સાબિત થયો.
પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના સાતમા વર્ષમાં થોડા મહિનાઓ બાદ જેવઉ વર્ષ 2021 શરૂ થયું અને કોરોના સંકટે પીએમ મોદીની છબીને ક્ષતિગ્રસ્ત કરી. સોશ્યલ મીડિયાથી લઈને વિદેશી મીડિયાઓ પીએમ મોદી સામે આંગળી ચીંધવા લાગી.