આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. જે ઉનાળામાં વધી જાય છે. તો ચાલો જાણીએ તેના લક્ષણો અને ઉપાય.
30થી 50વર્ષની વચ્ચેના અને નાનાં બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે
આંજણીમાં સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે
ઘરેલૂ ઉપાયથી આ સમસ્યા મટાડી શકાય છે
આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક પાંપણની આસપાસ અને અંદરની બાજુ રહેલી ઓઈલ ગ્લેન્ડ બ્લોક થવાથી પણ આંજણી થાય છે. staphylococcus બેક્ટેરિયા આંજણી થવા માટે જવાબદાર હોય છે.
સ્ટ્રેસ, હાઈજીનનો અભાવ, હોર્મોન્સ ઈમ્બેલેન્સ, ડાયાબિટીસ, સેબોરિયા, સિરમ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ કે અન્ય બીમારી ધરાવતા લોકોને આ તકલીફ થવાની સંભાવના વધુ હોય છે. ઉપરાંત 30થી 50વર્ષની વચ્ચેના અને નાનાં બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.
લક્ષણો
અસરગ્રસ્ત આંખ લાલ થાય તે આંજણીનું પહેલું લક્ષણ છે. આંજણી થઈ હોય તે ભાગ ઊપસી આવે તે અગાઉ એ જગ્યાએ દુખાવો થાય અને તે ભાગ નરમ થઈ જાય.
આંખની પાંપણની ઉપર કે અંદરની બાજુ એક ફોડલી જેવું ઊપસી આવે છે.
આંજણી હોય એટલા ભાગમાં આખી પાંપણ સૂજી જાય.
અસરગ્રસ્ત આંખ સંવેદનશીલ બની જાય અને પ્રકાશ સહન ન કરી શકે.
આંખમાં ખંજવાળ આવે અને પાણી નીકળ્યા કરે.
પાંપણ પટપટાવવામાં પણ તકલીફ થાય.
ઉપાયો
ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વખત આ પ્રયોગ કરો.
હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવાર માટે સૌથી અસરકારક છે. હૂંફાળી ટી બેગને આંજણી થઇ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુખાવામાં રાહત મળશે અને સાથે જ સોજો ઓછો કરશે.
ફ્રેશ એલોવેરા જેલ આંજણી પર લગાવો અને થોડો સમય માટે રહેવા દો, આ પછી હૂંફાળા પાણીથી આંખ ધોઇ લો. આ પ્રયોગથી આંખ હાઇડ્રેટ થશે અને સાથે જ આંજણી મટી જશે.
ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.
જામફળના પાન ધોઈ લો. હૂંફાળા પાણીમાં રૂમાલ પલાળો. હવે આ રૂમાલમાં જામફળના પાન મૂકી શેક કરો. રાહત લાગશે.
2 કપ પાણીમાં એક ચમચી હળદર નાખીને ઉકાળો. ઠંડું થાય એટલે 3-4 વાર આ પાણીથી આંખ ધોઇ લો.