બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / જ્યાં એકસાથે 1507 ભીલોને વીંધી દેવાયા હતા...' માનગઢના દુર્ભાગ્યની કહાની, જે જલિયાવાલા બાગ કરતા પણ વધારે દર્દ આપે છે!
Last Updated: 01:37 PM, 17 July 2026
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આજે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો. 'ભીલ પ્રદેશ સંદેશ યાત્રા સંમેલન'ના આયોજનને લઈને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો માનગઢ પહોંચ્યા. સંમેલનમાં ભીલ પ્રદેશની માંગને ગામે-ગામ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો, જોકે આ કાર્યક્રમને લઈને રાજકીય અને સામાજિક સ્તરે અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
ADVERTISEMENT

માનગઢ માત્ર એક ધાર્મિક કે પ્રવાસન સ્થળ નથી. આ એ ધરતી છે, જ્યાં 17 નવેમ્બર, 1913ના રોજ બ્રિટિશ હકૂમત અને દેશી રજવાડાંની સેનાએ ભીલ અને આદિવાસી સમાજ પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક ઇતિહાસકારો અને આદિવાસી સમાજના દાવા મુજબ આ ઘટનામાં 1507 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અનેક સંશોધકો આ નરસંહારને જલિયાંવાલા બાગ પહેલાંનો અને તેનાથી પણ મોટો હત્યાકાંડ ગણાવે છે.
ADVERTISEMENT
ભારતના ઇતિહાસમાં જ્યારે બ્રિટિશ અત્યાચારની વાત આવે છે ત્યારે સૌપ્રથમ જલિયાંવાલા બાગનું નામ યાદ આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડના લગભગ છ વર્ષ પહેલાં, 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ડુંગર પર પણ ભયાનક નરસંહાર થયો હતો.
ADVERTISEMENT
ઇતિહાસકારો અને સ્થાનિક દસ્તાવેજો મુજબ, તે દિવસે હજારો ભીલ અને આદિવાસીઓ ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢ ડુંગર પર એકત્ર થયા હતા. બ્રિટિશ હકૂમત અને દેશી રજવાડાંઓએ આ જનઆંદોલનને બળવો માની લીધો. ત્યારબાદ ડુંગરને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યો અને કોઈ ચેતવણી વગર ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો.
ADVERTISEMENT
સ્થાનિક ઇતિહાસકારો અને આદિવાસી સમાજનો દાવો છે કે આ હુમલામાં 1507થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા, જ્યારે કેટલાક સરકારી દસ્તાવેજોમાં આ સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે. આ કારણસર માનગઢને અનેક લોકો 'આદિવાસીઓનું જલિયાંવાલા બાગ' પણ કહે છે.
ADVERTISEMENT
ગોવિંદ ગુરુ માત્ર ધાર્મિક નેતા નહોતા. તેમણે ભીલ અને આદિવાસી સમાજમાં વ્યસનમુક્તિ, સામાજિક સુધારા, શિક્ષણ, સ્વચ્છતા અને આત્મસન્માન માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમણે લોકોને દારૂ, માંસાહાર અને અંધશ્રદ્ધાથી દૂર રહીને સંગઠિત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમની આ ચળવળથી ભીલ સમાજમાં નવી જાગૃતિ આવી અને હજારો લોકો તેમની સાથે જોડાયા. બ્રિટિશ શાસન અને આસપાસના દેશી રજવાડાંઓને આ વધતી એકતા પોતાના શાસન માટે જોખમ લાગી. ત્યારબાદ માનગઢમાં બનેલો નરસંહાર આ સમગ્ર ચળવળને દબાવવાનો પ્રયાસ હતો.
ADVERTISEMENT
માનગઢ હત્યાકાંડ દેશના સૌથી મોટા નરસંહારોમાંનો એક હોવા છતાં દાયકાઓ સુધી ઇતિહાસના પુસ્તકોમાં તેને યોગ્ય સ્થાન મળ્યું નહોતું. આઝાદી પછી પણ લગભગ આઠ દાયકાઓ સુધી અહીં કોઈ સ્મારક નહોતું. વર્ષ 1999માં પ્રથમ વખત રાજસ્થાન સરકારે શહીદ સ્મારક બનાવ્યું. ત્યારબાદ અહીં મ્યુઝિયમ, ગોવિંદ ગુરુની પ્રતિમા અને સ્મૃતિસ્થળ વિકસાવવામાં આવ્યા. તાજેતરના વર્ષોમાં કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોએ પણ માનગઢ ધામને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધર્યા છે.
રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલું માનગઢ આજે 'માનગઢ ધામ' તરીકે ઓળખાય છે. અહીં શહીદ સ્મારક, ગોવિંદ ગુરુની પ્રતિમા અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. વર્ષો સુધી ઇતિહાસના પાનાંમાં અવગણાયેલું આ સ્થળ હવે આદિવાસી ગૌરવ અને શહાદતના પ્રતીક તરીકે ઓળખ મેળવી રહ્યું છે. દર વર્ષે હજારો લોકો અહીં આવીને 1913ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આજે યોજાયેલા સંમેલને ફરી એકવાર માનગઢના ઐતિહાસિક મહત્વ અને ભીલ સમાજની ઓળખના પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.