ગૃહ મંત્રી અમિત શાહના એક દેશ, એક ભાષાના નિવેદન પર વિવાદ સર્જાયો છે. હિન્દી દિવસના અવસરે ગૃહમંત્રી અમિત શાહે હિન્દીના માધ્યમથી આખા દેશને જોડવાની અપીલ કરી છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આખા દેશની એક ભાષા હોવી જોઇએ. જોકે, વિપક્ષે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર દેશ પર હિન્દી થોપી રહી છે.
અમિત શાહના એક દેશ, એક ભાષાના નિવેદન પર વિવાદ
વિપક્ષનો આરોપ, મોદી સરકાર દેશ પર હિન્દી થોપી રહી છે
ઓવૈસીએ કહ્યું-અનુચ્છેદ 29 દરેક ભારતીયને પોતાની ભાષા અને સંસ્કૃતિનો અધિકાર પ્રદાન કરે છે
હિન્દી દિવસના અવસરે ગૃહમંત્રી અમિત શાહે હિન્દીના માધ્યમથી આખા દેશને જોડવાની અપીલ કરી છે. એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે વિભિન્ન ભાષાઓ અને બોલીઓ આપણા દેશની તાકાત છે. પરંતુ હવે દેશને એક ભાષાની જરૂર છે જેથી અહીં વિદેશી ભાષાઓને જગ્યા મળી શકે નહીં. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર દેશ પર હિન્દી થોપી રહી છે.
आज हिंदी दिवस के अवसर पर मैं देश के सभी नागरिकों से अपील करता हूँ कि हम अपनी-अपनी मातृभाषा के प्रयोग को बढाएं और साथ में हिंदी भाषा का भी प्रयोग कर देश की एक भाषा के पूज्य बापू और लौह पुरूष सरदार पटेल के स्वप्प्न को साकार करने में योगदान दें।
પ.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીથી લઇને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, દક્ષિણ ભારતના ઘણા નેતાઓએ શાહના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હિન્દી, હિન્દૂ અને હિન્દૂત્વથી મોટો છે ભારત. એમણે કહ્યું, 'હિન્દી દરેક ભારતીયની માતૃભાષા નથી. શું આપ આ દેશની ઘણી માતૃભાષાઓ હોવાની વિવિધતા અને સુંદરતાની પ્રશંસા કરવાની કોશિશ કરશો. આટલું જ નહીં, એમણે આગળ કહ્યું કે, બંધારણનો અનુચ્છેદ 29 દરેક ભારતીયને પોતાની અલગ ભાષા અને સંસ્કૃતિનો અધિકાર પ્રદાન કરે છે.
દક્ષિણમાં તો વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા. બેંગલુરુમાં કન્નડ સમર્થકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. તો કલબુર્ગીમાં કર્ણાટક નવનિર્માણ સેનાએ પણ જોરદાર પ્રદર્શન કર્યું. ડીએમકે અને એમડીએમકે પણ શાહના નિવેદનના વિરોધ કર્યો. બીજી તરફ કોંગ્રેસ હિન્દીને પ્રોત્સાહનની વાત તો કરી રહી છે, પરંતુ એ વાતની આશંકા વ્યક્ત કરી રહી છે કે ક્ષેત્રીય ભાષાઓને માનતા લોકોના મનોભાવનું સમ્માન થવું જોઇએ.
સલમાન ખુર્શીદે કહ્યું કે જો આપણે એક જ ભાષા લાગૂ કરીશું તો સંભવ છે કે લોકો આ વાતનો સ્વીકાર ન કરે, અને અંતર વધવા લાગે. જ્યારે અમિત શાહે જે કહ્યું છે તેનું જેડીયૂએ પોતાના અંદાજમાં સમર્થન કર્યું. જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે આપણે હિન્દી થોપવા નથી ઇચ્છતા પરંતુ તેની સ્વીકાર્યતા વધારવા માંગીએ છીએ.
મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું, 'હિન્દી દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામના. આપણે તમામ ભાષાઓ અને સંસ્કૃતિનું સમાન રૂપે સમ્માન કરવું જોઇએ. આપણે ઘણી ભાષાઓ શીખી શકીએ છીએ પરંતુ આપણે આપણી માતૃ ભાષાને ક્યારેય ભૂલવી જોઇએ નહીં.'
જ્યારે સ્ટાલિને શાહને નિવેદન પાછુ લેવા કહ્યું. ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું, 'હિન્દી થોપવાનો આપણે સતત વિરોધ કરી રહ્યા છીએ. શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી અમને આઘાત પહોંચ્યો છે. આ ભારતની એકતાને પ્રભાવિત કરશે. અમે માંગ કરીએ છીએ તે નિવેદન પાછું લે.' સ્ટાલિને આ મુદ્દાને આગળ ઉઠાવતા રહેવા જણાવ્યું.
શું બોલ્યા અમિત શાહ, જેના પર થયો વિવાદ ?
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આખા દેશની એક ભાષા હોવી જોઇએ. હિન્દીનો વિસ્તાર થવો જોઇએ. જો રાજભાષા ખતમ થાય છે તો તેની અસર આપણી સંસ્કૃતિ પર પડશે. તેથી તેમા સતત સુધારો કરવો પડશે. એમણે કહ્યું કે આઝાદીના આંદોલનથી હિન્દીને નીકાળી દેવામાં આવે તો આંદોલનનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે. દેશની એક ભાષાને ધ્યાનમાં રાખીને જ રાજભાષાની કલ્પના કરાઇ હતી અને રાજભાષા રૂપે હિન્દીનો સ્વીકાર કરાયો હતો.