ગુજરાતમાં ખાસ તહેવારોની સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે. કાળીચૌદશના દિવસે ઘરમાંથી કંકાસ કાઢવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરે અડદની દાળના અને અન્ય દાળના વડાં બનાવે છે અને તેને ઘરમાં ફેરવીને ચાર રસ્તા પર મૂકી આવે છે. આ ખાસ પ્રથાના આધારે આ દિવસે સાંજે લગભગ દરેક ગુજરાતી ઘરમાં વડાં બનાવવાનો રિવાજ છે.
અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો.
નોંધ- ખીરું બની ગયા બાદ પહેલાં વડા તળાઈ જ્યારે ત્યારે પ્રથાના આધારે મૂકવાના 5 વડા કાઢી લો અને પછી બાકીના વડાના દહીંવડા બનાવીને મજા માણો.
અડદની દાળના દહીંવડા
સામગ્રી
અઢીસો ગ્રામ અડદની દાળ
પાંચસો ગ્રામ દહીં
અડધું લાલ મરચું
અડધી ચમચી જીરું
પચાસ ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત
દહીંવડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરું, થોડું તેલ અને કાપેલા ધાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો. તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.