શિયાળાની સીઝનની શરૂઆત થવામાં છે ત્યારે અનેક લોકોનો શરદી, ખાંસીની તકલીફ થવા લાગી છે. આ સમયે લીલી હળદરના લાડુ લાભદાયી બને છે. હાલમાં માર્કેટમાં લીલી હળદર આવી ચૂકી છે. તમે જો સીધી રીતે તેને ખાવાની પસંદ ન કરતા હોવ તો તમે આ સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા લાડુ બનાવી શકો છો. જો રોજ તમે આ 1 લાડુ પણ ખાઈ લેશો તો તમે અનેક બિમારીમાંથી રાહત મળવી શકો છો.
સૌ પહેલાં એક કઢાઈ લો. તેમાં ઘી ગરમ કરવા મૂકો. હવે તેમાં કાજૂ, બદામ, અખરોટ, દ્રાક્ષ, મખાણા, મગજતરીના બીજ બધું જ ઉમેરો અને તેને રોસ્ટ કરી લો. હવે હળદરને છોલી લો અને તેને છીણી લો. ફરીથી કઢાઈમાં 2 ચમચી ઘી લો અને તેમાં છીણેલી હળદરને શેકી લો. શેકેલી હળદરને બાઉલમાં કાઢો અને તેમાં સમારેલો ગોળ ઉમેરો. હવે બંને ચીજ મેલ્ટ થાય ત્યાં સુધી સારી રીતે હલાવો. હવે રોસ્ટ કરેલી તમામ સામગ્રીને ક્રશ કરી લો અને તેમાં કોપરાનું છીણ ઉમેરો. બધી ચીજોને મિક્સ કરી લો અને તેને સારી રીતે હલાવો. છેલ્લે મરી પાવડર મિક્સ કરો. હવે મિશ્રણને લાડુ વાળી શકાય તેવું ઠંડું થવા દો. તેના લાડુ વાળીને સ્ટોર કરો. રોજ બધાને 1 લાડુ ખવડાવો.
લીલી હળદરના ફાયદા
શરદી, ઉધરસમાં આ હળદર ઉત્તમ દવા માનવામાં આવે છે. આ સિવાય કોઢ થયો હોય, પેટમાં કૃમિ થયા હોય, લોહીને શુદ્ધ કરવા કે કોઈ ઘા થયો હોય તો તેમને માટે આ લીલી હળદર લાભદાયી ગણાય છે. જે વ્યક્તિઓને સાંધાનો દુઃખાવો રહેતો હોય તેઓએ રોજ આ લીલી હળદરનું સેવન કરવું લાભદાયી છે. લીલી હળદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શ્યિમ, વિટામિન એનો સોર્સ ગણવામાં આવે છે. તો રોજ કરો તેનું સેવન.