ગુજરાતમાં આવતીકાલે એટલે કે રવિવારે શરદપૂનમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. શરદપૂનમના દિવસે ખાસ કરીને નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદર્શનનું અને સાથે સાથે દૂધ- પૌઆનું પણ અનેરું મહત્વ છે. ચંદ્રદર્શન કરેલા ઠંડા દૂધ- પૌઆ ખાવાનો રિવાજ છે. જો તમે તમારા રસોડે દૂધ-પૌઆ બનાવવાનું વિચારી રહ્યા છો તો નોંધી લો આ સરળ રેસિપિ અને ખુશ કરી દો ઘરના તમામ સભ્યોને.
સામગ્રી
- અડધો લિટર ફૂલ ક્રીમ મિલ્ક
- અડધો કપ પૌંઆ
- પા કપ ખાંડ
- એક ટીસ્પૂન કાજૂ
- એક ટીસ્પૂન કિશમિશ
- એક ટીસ્પૂન પિસ્તા
- ચાર નંગ નાની એલચી
રીત
દૂધને ગરમ કરવા રાખો. જ્યાં સુધી તે ગરમ થાય ત્યાં સૂધી સૂકોમેવો સુધારીને રાખો. એલચીનો ભૂકો કરો. પિસ્તાની ઊભી કતરણ કરો. દૂઘ ઉકળે એટલે તેમાં પૌંઆ મિક્સ કરો. પૌંઆ ચઢી જાય અને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ઉકાળો અને હલાવતા રહો. તમામ સૂકોમેવો તેમાં ઉમેરો. થોડા પિસ્તા ગાર્નિંશિંગ માટે રાખો. તેમાં તમે પસંદ પ્રમાણે બદામ અને ચારોળી પણ નાંખી શકો છો. તેમાં ખાંડ અને ઇલાયચી ઉમેરો. તેને સ્વાદ અનુસાર નાંખો. તૈયાર છે તમારા દૂધ- પૌઆ. દૂધ- પૌઆને ગરમ કે ઠંડા સર્વ કરી શકાય છે.
શરદ પૂનમ અને દૂધ- પૌઆનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વ
ભાદરવો મહિનો પિત્તકારક માસ ગણવામાં આવે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુના સંધિકાળમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો પ્રકોપ સર્જાય છે. પરંપરાગત દૂધ-પૌઆનાં સેવનના કારણે જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે. સ્વાદના રસિકો માટે શરદ પૂનમ એટલે દૂધ- પૌઆ ખાવાનો અચૂક અવસર. જો કે દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. ધાર્મિક માન્યતા માટે આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે. આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બિમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડીલો દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે. સફેદ વસ્તુમાં ચંદ્રના સીધા કિરણો પડે એટલે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક બને છે.