મહારાષ્ટ્રની રાજનીતિએ નવા વળાંક લીધાં છે. એકનાથ શિંદેનાં બળવા બાદ હવે ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર પોતાની પાર્ટીને જીવંત કરવામાં લાગી ગયાં છે જેના માટે તેમણે બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરની સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
મહારાષ્ટ્ર પોલિટિક્સમાં નવો વળાંક
ઉદ્ધવ ઠાકરેએ બાબાસાહેબ આંબેડકરનાં પૌત્ર સાથે મળાવ્યો હાથ
મજબૂત ગઠબંધન બીજેપીને આપી શકે છે માત
મહારાષ્ટ્રમાં સત્તાથી નિકળ્યાં બાદ ઉદ્ધવ ઠાકરે પોતાના રાજનૈતિક સમીકરણો મજબૂત કરવામાં લાગી ગયાં છે. ઉદ્ધવ ઠાકરેએ બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરનાં વંચિત બહુજન અઘાડી સંઘ સાથે હાથ મળાવી લીધેલ છે. બીએમસી ચૂંટણીમાં પ્રકાશ આંબેડકર શિવસેનાની સાથે મળીને લડશે. તેવામાં આ ગઠબંધનને બીજેપી માત આપે છે કે કેમ તે જોવાનું રહ્યું.
BMC ચૂંટણી નજીક
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં બૃહદમુંબઇ મહાનગરપાલિકા એટલે કે BMC સહિતનાં ઘણાં શહેરી નિગમોમાં ચૂંટણી થવાની છે અને તેનાં પછી 2024માં લોકસભા અને નવેમ્બર 2024માં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા પછી અને શિવસેનાનાં બે ટૂકડાં થયા બાદ ઉદ્ધવ ઠાકરે સામે બીએમસીને બચાવી રાખવાનો પડકાર સામે આવ્યો છે. બીએમસી પર ત્રણ દશકથી સત્તા સંભાળનાર શિવસેનાને ફરી માત આપવા બીજેપી અને શિંદે ભેગા છે.
શિવશક્તિ અને ભીમશક્તિનું મિલન
BMCની ચૂંટણી નજીક છે અને ઉદ્ધવ ઠાકરેનાં પ્રયાસો પોતાની શિવસેનાને ફરી સત્તામાં લાવવા માટે ચાલુ છે. એકનાથ શિંદેનાં નેતૃત્વમાં મોટી સંખ્યામાં સાંસદ, વિધાયક, શિવસૈનિકે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધેલ છે. તો હવે ઉદ્ધવ ઠાકરે એ એક નવું પાસું ફેક્યું છે કે જેના કારણે શિવસેનાની સત્તા ફરી સ્થાન લઇ શકે છે. ઉદ્ધવનાં દીકરાં આદિત્ય ઠાકરેએ નીતીશ કુમાર-તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી ઉત્તર ભારતીય વોટરોને ધ્યાનમાં રાખવા માટેનાં દાવપેચ ચાલી રહ્યાં છે તો ઉદ્ધવે પ્રકાશ આંબેડકર સાથે હાથ મળાવીને બીએમસીની ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. તેવામાં આ બંને દળોની મિત્રતાને શિવશક્તિ અને ભીમશક્તિ ગઠબંધનનું નામ આપવામાં આવી રહ્યું છે.
હિન્દુત્વ અને સેક્યુલર પોલિટિક્સનો મિલાપ
ઉદ્ધવ ઠાકરેની શિવસેના જે હિન્દુત્વની રાજનીતિ કરવા માટે વખણાય છે તો પ્રકાશ આંબેડકર સેક્યુલર અને દલિત રાજનીતિ કરે છે. 2019માં થયેલ વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળી ને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે એ આ સંકેતો આપ્યાં હતાં કે તે હવે હિન્દુત્વની રાજનીતિ તો કરશે પરંતુ સત્તામાં રહેવા માટે સેક્યુલર દળોની સાથે પણ તાલમેલ સાચવશે.