ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહેતા કોહલીની ટેસ્ટ કેપ્ટનશિપ ખતરામાં. વિરાટને ટૂંક સમયમાં આ પદ પરથી હટાવે તેવી શક્યતા
વિરાટ કોહલી પર વધુ એક મુશ્કેલી
ટેસ્ટ કેપ્ટનશિપ પર ખતરો
વિરાટને ટેસ્ટ કેપ્ટનશિપ પદ પરથી હટાવી શકે
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનુ ચકનાચૂર થઇ ગયુ છે. જેને લઇને વધુ એકવાર વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થયો છે. અગાઉ બીસીસીઆઇએ વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવી દીધો હતો, જ્યારે તેણે પોતે ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારે હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ પર ખતરો મંડરાઇ રહ્યો છે.
આ ખેલાડી બની શકે છે નવો કેપ્ટન
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ સમય સમાપ્ત થઈ રહ્યો નથી. એક તરફ વિરાટ છેલ્લા બે વર્ષથી બેટથી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં પણ નિષ્ફળતા મળી છે. તેવામાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશિપ પણ જોખમમાં છે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર રોહિત શર્મા બની શકે છે. પરંતુ BCCI દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન ઈચ્છે છે અને આવી સ્થિતિમાં વિરાટની જગ્યાએ 29 વર્ષીય કેએલ રાહુલને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. રાહુલે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. રાહુલ મુશ્કેલીઓથી ડરતો નથી અને સાથે સાથે કેપ્ટન્સી પણ તેની બેટિંગ પર અસર કરતી નથી.
BCCI કોની પસંદગી કરી શકે ?
વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલે જે રીતે કેપ્ટનશીપ કરી, તેણે બધાના દિલ જીતી લીધા હતા. રોહિતના ODI શ્રેણીમાંથી બહાર થયા પછી, BCCIએ કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપી અને સ્પષ્ટ કર્યું કે તે પણ કેપ્ટનશિપ કરી શકે છે. કેપ્ટન્સી માટે બીજો દાવેદાર રોહિત પણ છે. પરંતુ રોહિત શર્માને કેપ્ટન્સી બીસીસીઆઇ સોંપશે નહી કારણ કે કારણ કે રોહિતની ઉંમર હાલ 34 વર્ષની છે. આ ઉંમર સુધીમાં, મોટાભાગના ખેલાડીઓ રમતમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવે છે. આવી સ્થિતિમાં, રોહિત લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળી શકશે નહીં અને બોર્ડ તેને સોંપવાનું જોખમ લેવા માંગશે નહીં. જો કે બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે બાકીના બોર્ડની જેમ અલગ ફોર્મેટનો એક અલગ કેપ્ટન ઈચ્છે છે.
BCCI વિરાટથી નાખુશ
મહત્વનુ છે કે BCCI દ્વારા વિરાટ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ વિરાટ કોહલી અને BCCI ચીફ સૌરવ ગાંગુલી વચ્ચે ઘણી વખત ચર્ચા થઈ છે. BCCI અને વિરાટ વચ્ચે ચાલી રહેલા આ વિવાદથી એક વાત સ્પષ્ટ થાય છે કે બોર્ડ આ ખેલાડીથી નાખુશ છે. આવી સ્થિતિમાં BCCIને વિરાટ પાસેથી ટેસ્ટ કેપ્ટનશિપ છીનવી લેવાની સુવર્ણ તક પણ મળી છે.
ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં હારી ગઈ હતી
ભારત સામેના 212 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કીગન પીટરસને શાનદાર 81 રન બનાવ્યા, જ્યારે રાસી વેન ડેર ડુસેને 41 અને ટેમ્બા બાવુમાએ 32 રનનું યોગદાન આપીને તેમની ટીમને 7 વિકેટે યાદગાર જીત અપાવી હતી, ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીત મેળવી લીધી હતી પરંતુ જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં બંને ટેસ્ટ હારી ગઈ હતી અને શ્રેણીમાં ભારત 1-2થી હારી ગયું. મહત્વનુ છે કે ભારત આજ સુધી આ ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.