ગુજરાતના મેળાઓ વિશ્વ પ્રસિદ્ધ છે તેમાં કોઈ બેમત નથી. અહીંના દરેક મેળામાં કંઈક ને કંઈક અલગ બાબત છે જે લોકો માટે આકર્ષણના કેન્દ્ર સમાન છે. ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકાના વૌઠા ગામે યોજાતા મેળાની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો અહીં પહોંચે છે. પૌરાણિક મહત્વ ધરાવતા મેળામાં આકર્ષણ હોય છે સજી-ધજીને આવતા ગદર્ભ એટલે કે ગધેડાઓ.
અગિયારશથી શરૂ થશે વૌઠાનો મેળો
મેળાની મુલાકાતે દેશ -વિદેશથી આવે છે લોકો
પૌરાણિક મેળાનું આકર્ષણ ગદર્ભ હોય છે
પશુઓની લે-વેચ માટે જાણીતો છે વૌઠાનો મેળો
કેમ પ્રખ્યાત છે વૌઠાનો મેળો?
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. અને આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા તો એક યુગમાં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી. જોકે આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં, પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણાં પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. જોકે આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે. ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.
આ છે વૌઠાના મેળાનું પૌરાણિક મહત્વ
ગુજરાતના સૌથી મોટા અને સતત પાંચ દિવસ ચાલનારા સુપ્રસિદ્ધ એવા વૌઠા મેળો શુક્રવારથી એટલે કે આવતીકાલથી શરૂ થશે. અગિયારશથી શરૂ થતો આ મેળો સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીના સપ્તનદી સંગમ સ્થાન ઉપર ભરાય છે. તેનું પૌરાણિક મહત્વ પણ છે. માનવામાં આવે છે કે આ સ્થાન ઉપર સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યા બરોબરનું મહત્વ ધરાવે છે. સંગમ સ્થાન ઉપર ગુજરાતના ખુણેખુણેથી તેમજ દેશના અન્ય પ્રાંતોના પણ લોકો પવિત્ર સ્નાન કરવા આવે છે અને ભકિત, શ્રદ્ધા અને ભાવનાના ધાર્મિક ત્રિવેણી સંગમમાં ભાગ લઇ ધન્યતા અનુભવે છે અને મેળાની મજા માણે છે.આ વર્ષે પ્રથમ દિવસે મંનોરંજન તેમજ અન્ય ખાણીપીણી, રમકડા વગેરેના સ્ટોલ સજજ થઇ રહ્યા હતા અને વેપારીઓ જર્રરી તૈયારી પુર્ણ કરી સ્ટોલ સજાવી આખરી ઓપ આપી રહ્યા હતા તો અગિયારસને લઇને ધાર્મિક ભાવિક ભકતોએ સપ્તદી સંગમ સ્થાનમાં ડુબકી લગાવી પવિત્ર સ્નાન કર્યુ હતું.
પ્રવાસીઓ માટે હોય છે આવી વ્યવસ્થા
મેળામાં નદીના પટમાં ધોળકા શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પાંચ દિવસના મેળા દરમ્યાન ત્યાં તે ત્યાં પાલ (તંબુ) બાંધી તેમના પરિવાર સાથે રહે છે અને મેળાની મઝા માણે છે તેવા અનેક પરિવાર રહેવા આવે છે અને આખો નદીનો પટ તંબુથી (પાલ)થી ઉભરાઇ જાય છે. વૌઠા ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા પીવાનું પાણી, લાઇટ, સાફ-સફાઇ, શૌચાલયની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. યાત્રિકો, વેપારીઓને જરૂરી સગવડ- વ્યવસ્થા મળી રહે તે માટે ગ્રામ પંચાયતના સભ્યો, તા.પં. વહીવટ તંત્ર, જિ.પં.ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ મેળામાં સતત દેખરેખ રાખી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
લાખો લોકો આવે છે મુલાકાતે
મેળા દરમ્યાન દર વર્ષે પાંચ દિવસ દરમ્યાન લાખથી વધુ લોકો મેળો માણવા આવે છે અને ભારે ઘસારો જોવા મળે છે અને મેળાના ત્રીજા દિવસથી લઇ પાંચમા દિવસ સુધી ધોળકાથી લઇ વૌઠા સુધીના તમામ રોડ રસ્તા વાહનોની લાઇનો લાગે છે, લોકોની ભીડથી ચાલવાની પણ જગ્યા રહેતી નથી તેવો મેળો સોળ કળાએ લોકોના આગમનથી ખીલી ઉઠે છે.