કહેવાય છે કે, જમીન, સંપત્તિનો મુદ્દો જીવિત માટે હોય છે પરંતુ મરનારા લોકો માટે માત્ર બે ગજની જમીન જ ઘણી છે. પરંતુ કેવુ જ્યારે મરનારાને જમીન પણ ના મળે તો? કંઇક આવી જ મુશ્કેલીમાંથી જકાર્તાના લોકો પસાર થઇ રહ્યા છે.
જી હા, ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં વસ્તી એ હદે વધી રહી છે કે તેની અસર કબ્રસ્તાનો પર દેખાઇ રહી છે. અહીંના કરાત બિવાક કબ્રસ્તાનમાં જગ્યાની ખૂબ જ કમી સર્જાઇ છે. આ કારણે એક ઉપર એક લાશ દફનાવવાની ફરજ પડી છે. તેની આસપાસ બહુમાળી ઇમારતો અને આલિશાન એપાર્ટમેન્ટ્સ પણ છે.
પ્રશાસને આ સમસ્યા દૂર કરવા પ્રયાસ કર્યા છે, પરંતુ સફળતા મળી નથી કેમ કે આ ક્ષેત્ર બહુ સીમિત છે.
બ્રિટિશ ન્યૂઝપેપર કરાત બિવાક અને જાકાર્તાની આ સમસ્યા પર રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. 2017માં પ્રશાસને નવી કબર બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નથી. ધીમે ધીમે પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઇ. ઘણી કબર એવી છે કે જ્યાં એકની ઉપર એક એમ છ લાશ દફનાવાઇ છે. કાસ કરીને આવું એ મૃતકો સાથે કરવામાં આવ્યું કે જે એક જ પરિવારના હોય. અહીં કુલ 48000 કબર છે. તેમાં એક લાખથી વધુ લાશ દફનાવાઇ ચૂકી છે.
જાકાર્તામાં કુલ 84 નાનાં મોટાં કબ્રસ્તાન છે. તેમાંથી ચોથા ભાગમાં હવે દફનાવવા માટે કોઇ જગ્યા નથી. કમિટીઓ અને પ્રશાસન નવી કબરોની મંજૂરી આપી રહ્યું નથી. સ્થાનિક પ્રશાસન પણ મજબૂર છે. બે લાશને દફનાવવા માટે એક મીટરનું અંતર જરૂરી છે. કબર કમસેકમ ત્રણ વર્ષ જૂની હોવી જોઇએ ત્યારે જ ત્યાં બીજી લાશ દફન કરી શકાશે.
કરાત બિવાક કબ્રસ્તાનના પ્રમુખ સૈમાને જણાવ્યું કે મૃતકો માટે સ્થાન કોઇ મુદ્દો નથી. આ મુદ્દો તો માત્ર જીવિતો માટે હોય છે. તેઓ માને છે કે જગ્યાની કમીના કારણે ઘણી વાર વિવાદ અને ચર્ચાની પરિસ્થિતિ સર્જાય છે. એક મહિલાએ પોતાના પૂર્વ પતિને તેથી પારિવારિક કબરમાં દફનાવવાની જગ્યા ન આપી, કેમ કે તેણે બીજાં લગ્ન કરી લીધાં હતાં. કેટલાક આવા પારિવારિક વિવાદ પણ સામે આવે છે.
તાજેતરમાં જ જકાર્તાને લઇને એક શોધપત્ર પ્રકાશિત થયું છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, વર્ષ 2050 સુધી શહેરનો મોટો હિસ્સો સમુદ્રમાં ડૂબી જશે. તો ઉત્તરી જકાર્તા દર વર્ષે આશરે અમુક સેન્ટીમીટર ડૂબતુ જાય છે. અડધુ જકાર્તા સમુદ્ર તટની નીચે છે. આજ કારણોસર અહીંયા મરનારા દફનાવવા માટે કબરો નથી મળી રહી.