ખાવી-પીવાની આદતો કરતા પણ વધારે તમારા વિચારો અને તમારો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ મહત્વનો સાબિત થાય છે એ વાત તો તમે જાણતા જ હશો, પરંતુ વિચારોમાં પરિવર્તન લાવવાથી તમારી ઉંમર પણ લાંબી થશે એ વાત કદાચ તમને ચોંકાવનારી લાગશે.
તાજેતરમાં હાથ ધરાયેલા એક રિસર્ચના અહેવાલ અનુસાર, ઘટીને સતત નાની થતી જતી સરેરાશ ઉંમર પણ વધી શકે છે અને તેના માટે લોકોએ ફક્ત તેમના વિચારો અને દ્રષ્ટિકોણમાં થોડા ફેરફારો કરવા પડશે. આજકાલની લાઈફ સ્ટાઈલ, ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થઈ રહેલી ભેળસેળ જોતા માનવીનું આયુષ્ય લાંબુ હોય તે વાત માનવામાં પણ આવતી નથી.
છેલ્લા થોડા વર્ષોમાં સરેરાશ આયુષ્ય સતત ટુંકું થતું જાય છે. તેના કારણે ઘણા લોકો ચિંતામાં ઘેરાયા છે. આ વિષય પર હાથ ધરવામાં આવેલા નવા સંશોધનના રસપ્રદ પરિણામો હવે સામે આવ્યા છે. આ સંશોધન અનુસાર, જે લોકો સકારાત્મક અને આશાવાદી વિચારો ધરાવે છે તેમની ઉંમર આપોઆપ વધી જાય છે અને તેઓ 80થી 85 વર્ષ સુધી સ્વસ્થ જિંદગી જીવી શકે છે.
અમેરિકાના સંશોધકોએ 69,744 મહિલાઓ અને 1,429 પુરુષો પર રિસર્ચ કર્યું હતું. આ તમામ મહિલાઓ અને પુરુષોને તેમના આશાવાદી દ્રષ્ટિકોણ અને સકારાત્મક વિચારો સાથે તેમની આદતોની સમીક્ષા કરવા જણાવાયું હતું. ત્યારબાદ સંશોધકોએ તેમના આશાવાદી દ્રષ્ટિકોણને પરખ્યો હતો અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, જે મહિલાઓ અને પુરુષોનો દ્રષ્ટિકોણ વધારે પૉઝિટિવ હતો, તેમની ઉંમર 15 ટકા વધી ગઈ હતી. નેગેટિવ વિચારસરણી ધરાવતા લોકોની સરખામણીએ તેમની લાંબી ઉંમરની સંભાવના લગભગ 50થી 70 ટકા વધારે હતી.
બૉસ્ટન યુનિવર્સિટીમાં સાઈકિયાટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રૉફેસર લ્યુવિના જણાવે છે કે, રિસર્ચમાં જોકે સમયથી પહેલા મોત થવાના ઘણા રિસ્ક ફેક્ટર્સ સામે આવ્યા છે, પરંતુ આપણે પૉઝિટિવ સાઈકો-સોશિયલ ફેક્ટર્સ વિશે બહુ ઓછું જાણીએ છીએ, જેનાથી હેલ્ધી એજિંગને પ્રમોટ કરી શકાય છે. આ અભ્યાસ દ્વારા એ વાત સામે આવી છે કે, આશાવાદી દ્રષ્ટિકોણ દ્વારા માણસની ઉંમરને વધારી શકાય છે. વધુ આશાવાદી લોકો લાગણીઓને અને વર્તૂણકને શ્રેષ્ઠ રીતે મેનેજ કરે છે અને એ રીતે જ સરળતાથી પોતાના તણાવો અને મુશ્કેલીઓનો હલ શોધી લે છે.