ગત્ત સાંજે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ધર્યું કે સમગ્ર ભાજપ સંગઠન અને સરકારમાં બળવો થયો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ અમિત શાહ દિલ્હી ગયાને અઠવાડિયું થયું નથી કે ગુજરાત ભાજપ સળગી ઉઠ્યું છે. ધારાસભ્યોને વિકાસના કામો નથી થતાં અને મંત્રીઓ અને અધિકારીઓ નથી ગાંઠતાં એવા કારણે રાજીનામાં આપવા પડે છે.
ઈનામદારનું રાજીનામું વાંચતા એવું જણાય છે કે વિકાસના કામો નથી થતાં
ભાજપના 500 હોદ્દેદારો અને સભ્યો રાજીનામા આપે એવું પ્રથમ વખત બન્યું
હર હંમેશ વિકાસના નામે ચૂંટણી જીતનાર ભાજપમાં જ એકાએક બળવો થવો અને વિકાસના કામો નથી થયા એવા કારણે ધારાસભ્ય, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ભાજપ સંગઠનના 500થી વધુ હોદ્દેદારો એકાએક રાજીનામા આપી દે. સંઘ પાસેથી શિસ્ત શીખેલી ભાજપ પાર્ટીમાં આવું અશિસ્ત આવ્યું ક્યાંથી એ વિચારવાનો વિષય બની જાય છે.
ઉતરાયણ કરવા આવેલાં શાહે આંતરિક સમાઘાનો કર્યા હતા
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની ઉતરાયણ કરવા આવ્યા ત્યારે બંધબારણે જીતુ વાઘાણી અને વિજય રૂપાણી સહિત તમામ મવડી મંડળ સાથે બેઠક કરી તેમના તમામ પ્રશ્નોના સમાધાનો કર્યા હતા. છતાં જીતુ વાઘાણીના વડપણ વાળી ગુજરાત ભાજપ સંગઠનમાં કેમ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. કેતન ઈનામદારનું રાજીનામું વાંચીએ તો એવું ઓફિસિયલી સાબિત થાય છે કે વિકાસ કામો નથી થઈ રહ્યા એટલે પ્રજા તો ઠીક ધારાસભ્યો પણ નારાજ છે.
ધારાસભ્યની નારાજગી તો સમજ્યા પણ કાર્યકર્તાઓ અને સભ્યોનું શું સમજવું
ચાલો માની લઈએ કે કોઈ અધિકારીઓ અને મંત્રીઓએ કેતનભાઈનું કામ ન કર્યું હોય તો રાજીનામું ધરી દે. પણ ત્યાર બાદ ભાજપ શાસિત 23 નગરપાલિકાના સભ્યો, 17 તાલુકા પંચાયતના સભ્યો, 22 થી 25 જેટલાં ભાજપ સમર્થિત સરપંચો અને સાવલી અને ડેસર તાલુકાના 300થી વધુ સંગઠનના પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો રાજીનામા આપી દે એ કંઈક ભાજપ માટે નવું સાબિત કરી રહ્યું છે.
ગુજરાતના બે મંત્રીઓ વહેલી સવારે દિલ્હી રવાના થયા
ભાજપ સંગઠનની સળગતી સ્થિતિ વચ્ચે જ ગુજરાતના બે વરિષ્ઠ મંત્રીઓને દિલ્હીનું તેડું આવ્યું છે. વડોદરાથી અગાઉ પણ ચૂંટાયેલાં અને પ્રભારી સમાન ઉર્જામંત્રી સૌરભ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વહેલી સવારે જ દિલ્હી ઉપડી ગયા છે. લગભગ શાહ અને નડ્ડા સાથે બેઠક કરી બંને મંત્રીઓ ગુજરાત ભાજપ સંગઠન માટે કંઈક નવું લાવે તેવી સંભાવના છે. જોકે પ્રદિપસિંહ તો મીડિયાને PM મોદી સાથેનો ફોટો શેર કરી કહ્યું હું તો લગ્નનું આમંત્રણ પાઠવવા ગયો છું. આ સાથે વહેલી સવારે જીતુ વાઘાણીની તબિયત પણ લથડી છે.