બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજગાર અને નાણાકીય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
Last Updated: 02:36 PM, 1 June 2026
Mehsana News : મહેસાણા શહેરના બાયપાસ હાઈવે સ્થિત રામરત્ન હોટલ એસી હોલ ખાતે મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ રોજગાર, કારકિર્દી માર્ગદર્શન અને નાણાકીય જાગૃતિને કેન્દ્રમાં રાખી એક વિશેષ સમાજોપયોગી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણા ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો, વડીલો, ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને સમાજબંધુઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
ADVERTISEMENT
કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો તેમજ તેમને સ્વાવલંબન તરફ પ્રેરિત કરવાનો હતો. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત યુવાનોને કારકિર્દી નિર્માણ, ઇન્ટરવ્યૂ તૈયારી, વ્યવસાયિક કૌશલ્ય વિકાસ, નવી રોજગાર તકો અને સ્વરોજગાર અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ADVERTISEMENT
કાર્યક્રમમાં ખાસ કરીને રોજગાર ઇચ્છુક યુવક-યુવતીઓ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસમાં L&T, Hero Honda, Dhruv Enterprise અને Skill Development Institute જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. નોંધનીય છે કે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમેદવારોમાંથી અંદાજે 38 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી, જે મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના રોજગાર અભિયાનની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ ઉપરાંત સમાજને આર્થિક રીતે વધુ મજબૂત અને સશક્ત બનાવવા માટે વિશેષ Financial Awareness Programનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન નિષ્ણાતોએ બચત, રોકાણ, નાણાકીય આયોજન, ભવિષ્ય સુરક્ષા, વીમા, આર્થિક શિસ્ત અને સંપત્તિ નિર્માણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર સરળ અને સમજણસભર માર્ગદર્શન આપ્યું હતું.
સમાજના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સક્ષમતા અનિવાર્ય હોવાનું પણ નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું. બપોરના ભોજન બાદ યોજાયેલા ખુલ્લા ચર્ચાસત્રમાં યુવાનો અને સમાજજનો દ્વારા રોજગાર, શિક્ષણ, સમાજ વિકાસ અને વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. ચર્ચાસત્ર દરમિયાન અનેક રચનાત્મક સૂચનો અને વિચારો સામે આવ્યા હતા, જેણે ઉપસ્થિત સભ્યોમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવી હતી.
ADVERTISEMENT
મર્યાદિત બેઠકો હોવા છતાં નોંધાયેલા તમામ સહભાગીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસિત શ્રીમાળી તેમજ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, કાર્યકરો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમના સૌજન્યકર્તા જિગ્નેશ નટવરલાલ પંડ્યા સહિત આયોજક મંડળે તમામ મહેમાનો, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો અને ઉપસ્થિત સમાજબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચો : 565 FIR, 638ની ધરપકડ, ₹ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
આ પ્રસંગે મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે સમાજના યુવાનોના વિકાસ, રોજગાર સર્જન અને નાણાકીય સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે. ટ્રસ્ટનો ઉદ્દેશ આ અભિયાનને માત્ર મહેસાણા પૂરતું મર્યાદિત રાખવાનો નથી, પરંતુ ગુજરાતના તમામ 34 જિલ્લાઓ સુધી વિસ્તારી વધુમાં વધુ યુવાનોને રોજગાર અને માર્ગદર્શનનો લાભ પહોંચાડવાનો છે. સમાજની એકતા, પ્રગતિ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે યોજાયેલ આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગથિયું સાબિત થયો હોવાનું ઉપસ્થિત સમાજજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને સમાજના વિવિધ વર્ગો તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.