ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુ ઘેરૂં બની રહ્યું છે. દિવસે ના વધે તેટલાં કેસ રાતે વધી રહ્યા છે એવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર ચારે કોરથી ઘેરાયી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી તો પત્રકારોને સંબોધિત કરતાં ઉચ્ચ અધિકારીઓ દેખાતા બંધ થઈ ગયા છે. જ્યારથી હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉઘડો લીધો છે ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું કે એક પણ અધિકારીઓએ FB લાઈવ દ્વારા કરાતું મીડિયા બ્રિફિંગ બંધ કેમ કર્યું.
હાઈકોર્ટની ટકોર બાદ સરકારના અધિકારીઓ પ્રજાથી ખોવાયાની ચર્ચા?
છેલ્લી વખત માત્ર નીતિન પટેલે હાઈકોર્ટનો જવાબ આપવાં મિડિયાને સંબોધ્યું હતું
FB લાઈવમાં આવતી કોમેન્ટ્સથી અધિકારીઓ ડરી ગયા કે શું?
સૌ પહેલાં અમદાવાદમાં કુદકેને ભુસકે કોરોના કેસ વધતાં મ્યુનિ. કમિશનરે પત્રકારોને સંબોધિત કરવાનું બંધ કર્યું હતું. જ્યારે છેલ્લા બે દિવસથી હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉધડો લીધા બાદ જેની રાજ્યની સમગ્ર પ્રજા કાગ ડોળે રાહ જોતી હોય છે એવા આરોગ્ય સચિવ જંયતિ રવિ પણ મિડિયા બ્રિફિંગ કરતાં બંધ થઈ ગયા છે. જ્યારે CMOના સચિવ અશ્વિનિકુમાર અને DGP શિવાનંદ ઝાએ પણ FB લાઈવ દ્વારા કરાતું મિડિયા બ્રિફિંગ બંધ કર્યું.
જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે કોરોના કેસ અને વ્યવસ્થા અંગે સ્ટેટ્સ આપવાં અને પત્રકાર પરિષદ સંબોધવા ઉત્સાહિત રહેતાં અધિકારીઓ કેસની સંખ્યા આસમાને પહોંચતાં દેખાતાં જ બંધ થઈ ગયા. હાઈકોર્ટે સરકારને ઉધડો લીધો ત્યાર બાદ પ્રજાના પ્રશ્નનો જવાબ ન આપવો પડે અને સોશિયલ મીડિયામાં આવતી હજારો કોમેન્ટો જોઈ અધિકારીઓ ડરી ગયા હોય તેવું લાગે છે. આ ઉપરાંત હાઈકોર્ટની ફટકાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બે દિવસ પહેલાં જવાબ આપવાં આવ્યા એ આવ્યા પછી તો એ પણ મીડિયા બ્રિફિંગમાં દેખાયા નથી.
ફેસબુક લાઈવથી કરાતું મીડિયા બ્રિફિંગ પણ બંધ
અગાઉ જ્યારે રૂબરૂમાં પત્રકાર પરિષદ યોજાતી હતી તેમાં કોરોનાના સંક્રમણનો ભય વધતાં અધિકારીઓએ FB લાઈવ પર મિડિયા બ્રિફિંગ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ હાલની સ્થિતિમાં લોકોએ ફેસબુક લાઈવમાં ઢગલાંબંધ કોમોન્ટોનો મારો ચલાવતાં અધિકારીઓએ FB લાઈવ દ્વારા પણ મિડિયા બ્રિફિંગ બંધ કર્યું છે.
અમદાવાદમાં કોરોનાના 10 હજાર કેસ પાર થઈ ગયા છતાં એક પણ દિવસ ન દેખાયેલાં મેયર બિજલ પટેલ આજે મંગળવારે સવારે એકાએક GMDC ગ્રાઉન્ડ ખાતે કેરી મેળાના ઉદ્ધાટનમાં દેખાયા હતા. જ્યાં તેમને મીડિયાને સંબોધન આપ્યું હતું. પરંતુ મીડિયાએ કોરોના અંગે પ્રશ્ન પુછતાં ઉભી પૂછડીએ ભાગ્યા હતા. જાણે તેઓને કોરોના સાથે કંઈ લેવા દેવા જ ના હોય.